આણંદના અડાસ નજીક મિનીટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત: એકનું મોત


આણંદના અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર પુર પાટે જતી મિનિટ્રકે રીક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે રીક્ષા પલટી જતા તેમાં સવાર મહિલા મુસાફરનું મોત થયું હતું. વાસદ પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
વાસદની સૂર્યકિરણ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ અમરસિંહ પરમાર શાકભાજીની લારી ચલાવે છે. રાજેન્દ્રસિંહના ઓળખિતા વિજય ગણપતભાઈ પણ શાકભાજીનો ધંધો કરે છે અને સીએનજી રીક્ષા ધરાવે છે. રાજેન્દ્રસિંહના માતા મંજુલાબહેનને ડાયાબીટીસ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં વિજયભાઈની રીક્ષામાં લઇ જવાતા હતાં. તેઓ વાસદથી આણંદ હોસ્પિટલ મધ્યે ગયા હતા અને દવા લઇને પાછા વાસદ આવી રહ્યા હતાં. તે સમયે આણંદથી વાસદ તરફ જવાના નેશનલ હાઈવે નં.48 પર પાછળથી પુર ઝડપે ધસી આવેલી મિનિટ્રક નં.જીજે 23 વી 3065ના ચાલકની બેદરકારીથી રીક્ષાને ઠોકરે લીધા હતા. જેના લીધે રીક્ષા પલટી જતાં મંજુલાબહેન (ઉ.વ.55)ને ગંભીર ઇજા થઈ હતી.
ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વાસદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાં હતાં. બીજી બાજુ અકસ્માત સર્જનાર મિનિટ્રક પણ રસ્તા પરથી ઉતરી ગઈ હતી. આ વિશે વાસંદ પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.