ભુજમાં દર શનિવારે વીજકાપથી વેપારીઓ પરેશાન


દર શનિવારે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી ભુજમાં સમારકામના નામે વીજકાપથી ભુજના લોકો અને વેપારીઓ પરેશાન બન્યા છે, જો આમ, જ રહ્યું તો ખેડૂતોની જેમ વેપારીઓ પણ વીજ કચેરીએ ધસી જઇ ધરણા સહિત આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઇ ગોરે જણાવ્યું હતું કે, જો PGVCL કે, ગેટકોને મેઇન્ટેનન્સ કરવું હોય તો સવારે 6 થી 10 વાગ્યા સુધી કરી શકાય તેમ છે, તેના બદલે સળંગ 8 થી 10 કલાકો સુધી અઠવાડીક વીજકાપથી શહેરના વેપારીઓને પરેશાનીનો ભોગ બનવું પડે છે, જેની ધંધા-રોજગાર પર અસર પડી રહી છે.
જો આમ, જ ચાલતું રહેશે તો ખેડૂતોની જેમ વેપારીઓ પણ વીજ કચેરીમાં ધસી જઇ, ધરણા પર બેસી આંદોલન કરશે. હવેથી વીજ કંપની વીજકાપ અંગે અગાઉથી લોકોને ખબર પડે તે રીતે જાહેરાત કરે અને સમારકામનો સમય સવારે 6 થી 10 વાગ્યાનો રાખે તેવી માંગ કરી છે. વધુમાં ત્રણ માસમાં એક વખત મેઇન્ટેનન્સ કરાય, કારણ કે, દર શનિવારે વીજકાપથી વેપારીઓના ધંધા-રોજગાર પર અવડી અસર પડે છે.