ભારતમાલા પ્રોજેક્ટના વિરોધને કરણીસેના સહયોગ આપશે

copy image

ભારતમાલા પ્રોજેક્ટ રદ કરીને અન્ય જગ્યામાં ખસેડવામાં નહી આવે ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડુતોની લડત ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. તેમજ ભારતમાલા પ્રોજેક્ટના ખેડુતોના વિરોધને કરણીસેના દ્વારા સપોર્ટ કરાયો છે. ખેડૂતોની સાથે લડતમાં તમામ પ્રકારનો કરણીસેના સહયોગ આપશે તેમ ખેડુતોએ જણાવ્યું છે. વર્ષમાં ત્રણ ત્રણ પાક લેવાતી પિયત અને ફળદ્રુપ જમીનને પાણીના ભાવમાં ભારતમાલા પ્રોજેક્ટમાં લઇ જઇને ખેડુતોની રોજીરોટી છીનવી લેવાશે.

જેના વિરોધમાં ઉત્તર ગુજરાતના ગાંધીનગર મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં ખેડુતો દ્વારા ધરણાં અને ગામે ગામ બેઠકો કરાઈ રહી છે. તેમજ ભારતમાલા વિરોધમાં ગામજોડો અભિયાન શરૂ કરીને પાટણ સુધી રેલી શરૂ કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડુતો અનશન ઉપર બેઠા છે. ત્યારે ખેડુતોને તમામ પ્રકારનો ટેકો આપવા માટે કરણીસેના વહારે આવી છે. પોતાનો જીવ આપીને પણ પોતાની મા સમાન જમીનને તો નહી જ આપીએ તેઓ હુંકાર ઉપવાસ ઉપર બેઠેલા ખેડુતો દ્વારા કરાયો છે.

આથી ભારતમાલાના વિરોધમાં ખેડુતોએ હવે ગામડે પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રખાયુ છે. જ્યાં સુધી પ્રોજેક્ટ રદ નહી થાય કે અન્ય જગ્યાએ ખસેડવામાં નહી આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ જણાવ્યું છે. જો રાજ્ય કે કેન્દ્ર સરકાર ભારતમાલા પ્રોજેક્ટ અંગે ખેડુતોના હિતમાં નિર્ણય કરવામાં નહી આવે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ખેડુતોની એકતાનો પરચાનો સ્વાદ વર્તમાન સરકારને ચાખવો પડશે તેવી ચીમકી ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ આપી છે.