ચ રોડ પર અકસ્માત થતાં રાજભવનના PI ઇજાગ્રસ્ત


શહેરમાં ચ રોડ પર અકસ્માતમાં પીઆઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત મુજબ સેક્ટર-3 મધ્યે રહેતાં જીગ્નેશભાઈ અમૃતભાઈ લેઉવા આર્મ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે હાલ રાજભવન મધ્યે ફરજ બજાવે છે. તેઓ પોતાનું જ્યુટીર લઈને પોતાના મોટા બહેનને એસટી ડેપો મધ્યે મુકવા માટે આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યા અરસામાં તેઓ બહેનને મુકીને અન્ય કામ માટે જઇ રહ્યા હતા ત્યારે ચ રોડ પર જિલ્લા પંચાયત કટ નજીક એક અજાણ્યા ટુ વ્હીલર ચાલકે સિગ્નલ બતાવ્યા વિના જ એકદમ વાળી દીધી હતી.
જેને લીધે બાઈક અને જ્યુપીટર વચ્ચે ટક્કર થતાં પીઆઈ જીગ્નેશ લેઉવા નીચે પડી ગયા હતા. જેઓને માથાના ભાગમાં ઈજાઓ પહોચતા તેઓ જાતે જ ઘરે ગયા હતા. ઘરે આવીને સુઈ ગયેલા પીઆઈને પિતાએ 108 બોલાવીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. માથાના ભાગમાં હેમરેજ થયું હોવાથી તેઓને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બેભાન અવસ્થામાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી, પુત્રની સારવારમાં વ્યસ્ત રહેલાં પિતા અમૃતભાઈ ડાહ્યાભાઈ લેઉવા દ્વારા રવિવારે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. જેમાં સેક્ટર-7 પોલીસે ગુનો દાખલ કર્યો હતો.