જગાણા ગામે ટ્રેકટર પલટી જતાં બે મજૂર દટાયા, આગ લાગવાથી એકનું મોત


જગાણા ગામની સીમના એક ખેતરમાં ખેત મજૂરી કરતા એક મજૂર ટ્રેકટર લઇ હળ ચલાવવા માટે નીકળ્યો હતો એ દરમિયાન અચાનક ટ્રેક્ટર પલટી જતા બે મજુર દટાઈ ગાતા હતા. એક મજૂર બહાર નીકળી ગયો હતો જ્યારે ટ્રેક્ટરમાં આગ લાગી જતા અન્ય એક મજૂર ટ્રેકટર સાથે સળગી જતા મૃત્યુ નીપજયું હતું જેને લઇ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં આવેલ રતનપુર ગામના હરેશભાઇ ઓખાભાઈ ભટોળના ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરતા કાળુભાઈ પરમારના કુટુંબીભાઈ શકુરાભાઈ પુનાભાઈ પરમાર ટ્રેક્ટર લઈ આવ્યા હતા અને તેમણે એરંડાનું એક ખેતર હળી નાખ્યું અને હળવા માટે બીજું ખેતર બતાવવા માટે કહ્યું હતું.
જેથી કાળુભાઈ તેમની સાથે ટ્રેક્ટરમાં બેસી કાચા રસ્તા પર પસાર થતા હતા એ દરમિયાન એકાએક ટ્રેકટર પલટી મારી ગયું હતું.જેથી કાળુભાઈ તથા શકુરાભાઈ ટ્રેક્ટર નીચે ફસાઈ ગયા હતા. જોકે ટ્રેક્ટર નીચે જગ્યા હોવાથી કાળુભાઈ દબાઈ અને બહાર નીકળી ગયા હતા જેમને ઇજાઓ પહોચી હતી.
જ્યારે શકુરભાઈ ટ્રેક્ટરના હુડની એંગલ નીચે ફસાયા હતા તેમજ ટેક્ટરમાં અચાનક આગ લાગી ગઈ હતી જેથી કાળુભાઈ એ બુમાબૂમ કરતા આજુબાજુથી લોકો એકથા થયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ઓલવી શક્યા હતા નહિ અને ટ્રેક્ટર નીચે ફસાયેલા શકુરાભાઈ સળગી ગયા હતા. જેમાં તેમનું મૃત્યુ નીપજયું હતું જેથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.