તા. 10 ઓક્ટબર-વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ માનસિક સ્વાસ્થ્યની રાખો સંભાળ: જાણો કાળજી રાખવાની રીત

વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓ અનુભવી રહેલા લોકોને સમર્થન આપવાના પ્રયાસનાં ભાગરૂપે દર વર્ષે 10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2013થી દર વર્ષે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ માટે વૈશ્વિક અભિયાનનું આયોજન કરે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) એ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2022 ની થીમ જાહેર કરી છે, જે છે ‘બધા માટે માનસિક સ્વાસ્થ્યને વૈશ્વિક પ્રાથમિકતા બનાવો’.

દેશના વિકાસ માટે આરોગ્ય મહત્વનું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વ્યાખ્યા અનુસાર “ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની અવસ્થા અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી એટલે આરોગ્ય.” આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વધુને વધુ જાગૃતિ લાવવાના સતત પ્રયાસો થઈ રહ્યાં છે. આ બાબતે ડોક્ટરોનું પણ કહેવું છે કે લોકોએ તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ.

માનસિક સમસ્યાઓથી બચવા માટે લોકો નકારાત્મક સમાચારોથી દૂર રહે તે સૌથી જરૂરી છે. તમારા મિત્રો અને પરિચિતોથી ભાવનાત્મક અંતર ન બનાવો. ફોન, મેસેજ, વોટ્સએપ અથવા અન્ય રીતે દરેકના સંપર્કમાં રહો. સૂવાનો અને જાગવાનો સમય સેટ કરો. દરરોજ યોગ અને ધ્યાન કરો. કોઈ પણ કારણ વગર ચિંતા ન કરો. જો તમને કોઈ સમસ્યા લાગે તો ડોક્ટરની સલાહ લો.

શરીરની કાળજી રાખવી ખૂબ જરૂરી:

આપણું શરીર અને મગજ એક બીજાથી જોડાયેલા છે. જ્યારે તમે તમારા શરીરની સંભાળ લો છો, ત્યારે તમે મગજનું પણ ધ્યાન રાખો છો. જેમ કે યોગ્ય પૌષ્ટિક ખોરાક નિયમિતપણે લેવો જેથી શરીરને પૌષ્ટિક તત્વો મળીને રહે, જે શરીરને કાર્ય કરવામાં મદદ કરે છે અને શક્તિ આપે છે. મગજ પણ ખોરાક સાથે વધુ સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને.

શારીરિક વ્યાયામ:

કસરત તમારા શરીરને સ્વસ્થ રાખે છે, તેથી દરરોજ ૩૦ મિનિટ કસરત કરો જે માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. કસરત કર્યા પછી તમને કેવા ફેરફારો થયા છે તે જુઓ. પૂરતી ઉંઘ લો, સૂવાના સમય પહેલાં સારા પુસ્તકો વાંચો.

સકારાત્મક વિચારો:

સારા માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે ફક્ત સારા વિચારો કરવા, પરંતુ એ યાદ રાખો કે, જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે એ સમયે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું. ધીરજપૂર્વક કોઈપણ કાર્ય કરો, ઉતાવળમાં કોઈ કામ ન કરો કે કોઈ પણ કાર્યને બોજ ન ગણો આમ કરવાથી તમે બિનજરૂરી દબાણમાં આવશો જેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે

સકારાત્મક લોકોને મળો:

અઠવાડિયામાં એક દિવસ, ચોક્કસપણે એવા લોકોને મળો જે સકારાત્મક વિચાર કરવા પ્રેરણા આપતા હોય, જેને મળીને તમારું મન પ્રફુલ્લિત થતું હોય. પોતાના શોખ માટે સમય ફાળવો આ કરવાથી તમે માનસિક તાજગી અનુભવશો.