અંતે 5 વર્ષ બાદ 22 CNG સિટી બસ દોડાવશે નગરપાલિકા 


ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લે પાંચેક વર્ષ પહેલા સિટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી. જે પુન: શરૂ કરવા માટે દરેક પદાધિકારીઓ પ્રયાસ કરતા હતા. પરંતુ, એક કે બીજા કારણસર તેમને સફળતા મળતી ન હતી. છેવટે રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા ભુજ નગરપાલિકાએ દરખાસ્ત મૂકી હતી, જેથી રાજ્ય સરકારે અન્ય નગરપાલિકાએ સાથે ભુજ નગરપાલિકાને પણ 9.03 કરોડ રૂપિયાનું અનુદાન ફાળવવા મંજુરી આપી દીધી છે, જેથી ભુજ નગરપાલિકાએ 22 CNG સિટી બસો દોડાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભુજ શહેરમાં સિટી બસનું સંચાલન કરવા માધાપરની નવદુર્ગા સહકારી મંડળીને ઠેકો અપાયો હતો. પરંતુ, ભુજ નગરપાલિકાએ સિટી બસ સ્ટેશન માટે ફાળવેલી જગ્યાનું ભાડું ભરવામાં મંડળી નિષ્ફળ ગઈ હતી, જેથી 2015ના વર્ષમાં ચૂંટાઈને આવેલી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને પદાધિકારીઓએ તેનો ઠેકો રદ કર્યો હતો અને નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હતી. જે બાદ મીતરાજ ટ્રાવેલ્સે બસો ઉતારીને સિટી બસ સેવા આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ, સિટી બસ સ્ટેશનમાંથી જ રિક્ષા માલિકો મુસાફરોને ઉપાડી જતા હતા.
જેના ઉપર રોક લગાવવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હતી, જેથી મીતરાજ ટ્રાવેલ્સના માલિકે પણ કંટાળીને સિટી બસ સેવા આપવાનું બંધ કર્યું હતું. જે બાદ સિટી બસ સેવા પુન: શરૂ કરવાની ફકત વાતો થતી હતી. પરંતુ, કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. જોકે, 2021ના માર્ચ માસમાં ચૂંટાઈને આવેલા નગરસેવકો માંથી ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરપર્સન બનેલા રિટાબેન ભાંડેલે નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર અને કારોબારી ચેરમેન જગત વ્યાસ પાસે રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા દરખાસ્ત તૈયાર કરીને આપી હતી.
ત્યાર પછી ગુરુવારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ રાજ્ય સરકારે ભુજ નગરપાલિકાને 9.03 કરોડ રૂપિયા અનુદાનની રકમ ફાળવી દીધી છે, જેથી ભુજ નગરપાલિકાએ શહેરના 6 રૂટ ઉપર 22 CNG સિટી બસ દોડાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવાની ગતિવિધિ શરૂ કરી દીધી છે.