રાપરના કાનાણીવાંઢ મધ્યે પરિણીતાની ઘાતકી હત્યા નિપજાવાથી ચકચાર: પતિએ કહ્યું- સાત ઇસમોએ હત્યા કરી તો પિયર પક્ષે કહ્યું- જમાઈએ જ મોતને ઘાટ ઉતારી દીધી

રાપર તાલુકાના કાનાણીવાંઢ મધ્યે ગતરાત્રિના પરિણીત મહિલાની સાત જેટલા આરોપીઓ દ્વારા ઘાતકી હત્યા નિપજાવી પલાયન થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના પગલે સમગ્ર વાગડ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હતભાગી મહિલાના પતિએ જમીન મુદ્દે હત્યા કરાઈ હોવાનું અને તેમાં 6 થી 7 જેટલા સખ્શો સામેલ હોવાનું નિવેદન પોલીસ સમક્ષ અપાયું છે. જ્યારે મહિલાના પિયર પક્ષ દ્વારા આ હત્યા તેના જમાઈએજ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષની દલીલોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાપર તાલુકાના શાણપર ડાવરી ગામ વચ્ચે આવેલી કાનાણીવાંઢમાં ગત રાત્રિના 9 વાગ્યાના સમયગાળામાં જમીન મામલે છ થી સાત જેટલા આરોપીઓ મારવા આવતા તે પત્ની ગોમતી સાથે ઝૂંપડીમાંથી ભાગી ગયો હતો. દરમિયાન આરોપીઓએ ઝૂંપડું સળગાવતા પત્ની ગોમતીએ આરોપીઓ પાસે પહોંચી જઈ ઝૂંપડું ના સળગાવવા વિનંતી કરી હતી. પરંતુ ઉશ્કેરાઈ ગયેલા સખ્શોએ તેને ધારીયા જેવા હથિયારથી શરીરના ભાગમાં જોરદાર ઘા મારી હત્યા નિપજાવી દીધી અને બનાવને અંજામ આપી આરોપીઓ ભાગી ગયા હોવાનું પરિણીતાના પતિ દિલીપ કોલીએ આરોપીઓના નામ જોગ પોલીસમાં નોંધાવ્યું છે.

આ દરમિયાન મહિલાના મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ મધ્યે પોસ્ટમોર્ટમ માટે રખાયો છે. જ્યાં પરિણીતાના પિયર પક્ષના લોકોએ આ હત્યા તેમના જમાઈ દિલીપ કોલીએ જ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની દલીલ છે કે ગોમતીબેનના લગ્નને ચાર વર્ષનો સમય થયો છે, તેમાં એક 10 મહિનાનો તેમને પુત્ર છે. પરંતુ જમાઈ દિલીપને પત્ની ગોમતી પસંદ નહોતી, આ અગાઉ તે પિયરમાં રીસામણે પણ આવી હતી. તેથી આ હત્યા પાછળ જમાઈ દ્વારા તરકટ રચવામાં આવ્યું છે. જોકે પોલીસે હાલ બંને પક્ષના નિવેદન પર હત્યાની ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલાની હત્યાના પગલે બંને પક્ષના લોકો રાપર સરકારી દવાખાને ઉમટી પડતા ડી.વાય.એસ.પી સહિતના પોલીસ અધિકારીઓ મોટા કાફલા સાથે ઉમટી પડ્યા અને હત્યાની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.