ઉપલેટાના ગધેથડ ગામમાં પૂજા કરતા દરમિયાન સળગતો દીવો માથે પડતા વૃદ્ધા દાઝ્યા: સારવારમાં દમ તોડ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામમાં ઘરના મંદિરમાં પૂજા કરતા સમયે સળગતો દીવો માથે પડતા દાઝી ગયેલા લીલાબા જટુભા વાળા (ઉ.વ.75)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રવિવારે સવારે નવેક વાગ્યાના અરસામાં લીલાબા પોતાના ઘરે મંદિરમાં દીવાબતી અને પૂજા વિધિ કરતા હતા આ દરમિયાન મંદિરમાં કરેલો સળગતો દીવો લીલાબાની માથે પડતા તેના કપડા સળગી ઉઠ્યા હતા અને તુરંત પરિવારજનોએ તેમને પ્રથમ ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાંથી જુનાગઢ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે, તેમની સ્થિતિ નાજુક હોય તબીબોની સલાહથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ ભાયાવદર પોલીસ સ્ટાફે જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.