બાંસવાડાથી સુરત દિવાળીની ખરીદી કરવા માટે જઈ રહેલાએ 6 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

copy image

આજે કપૂરાઈ ચોકડી નજીક વધુ એક અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે આ અકસ્માતમાં રાજસ્થાનના બાસવાડા ગામના 6 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. આ તમામ 6 લોકો દિવાળીને પગલે ખરીદી કરવા અર્થે સુરત જવા માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં વડોદરામાં જ મોત થયું હતું.

મૂળ રાજસ્થાનના અને વર્ષોથી વડોદરામાં રહેતા શૈલેન્દ્ર કુમાર કલાલે જણાવ્યું હતું કે કપૂરાઈએ ચોકડી નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં મારા કાકાના દીકરા સંદીપ કલાલ સહિત મારા ગામના 6 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તમામ લોકો બાંસવાડાથી નીકળ્યા હતા અને સુરતમાં ખરીદી કરવા માટે જતાં હતા. આ દરમિયાન કપૂરાઈ ચોકડી નજીક ટ્રક સાથે અકસ્માત થતાં મારા ગામના 6 લોકોનાં મૃત્યુ થયાં છે. અમારા ગામમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. મારા કાકાનો દીકરો સંદીપ સાડીઓનો વેપાર કરતો હતો, જેથી ખરીદી માટે સુરત જવા માટે નીકળ્યો હતો. તેની સાથે ગામના બીજા લોકો પણ સાડીઓ ખરીદવા માટે જતા હતા.


શૈલેન્દ્ર કુમારે વધુમાં જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ત્રણથી ચારની વેળામાં મને ફોન આવ્યો હતો. જેથી હું કપૂરાઈ ચોકડી પહોંચ્યો હતો અને ત્યાંથી સયાજી હોસ્પિટલ ગયો હતો. ફરી પાછો કપૂરાઈ ચોકડી આવ્યો હતો. આ અકસ્માતમાં અમારા ગામના 6 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી સંદીપ મારા કાકાનો દીકરો છે અને તેની પત્ની પણ ઇજાગ્રસ્ત હોવાની ખબર પડી છે.

તેમણે વધુમાં કીધું હતું કે તમામ મૃતકોને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા છે અને ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અમારા ગામમાં તો હજી ખબર પણ નથી કે અકસ્માતમાં કોણ કોણ મર્યું છે.