કારમાં ગાંધીનગર આવતા દંપતીના 4.61 લાખના સોનાના દાગીની કરાઈ તસ્કરી


જોટાણા તાલુકામા રહેતું વૃદ્ધ દંપતી સરગાસણ ટીપી 9 વિસ્તારમાં રહેતા પુત્રના ઘરે દાગીના લઇને આવી રહ્યા હતા તે દરમિયાન ત્રિ મંદિરથી ગાંધીનગર આવવા ઇકો કારમાં બેઠુ હતુ. જ્યારે દિકરાના ઘરે જઇને થેલી ખોલતા દાગીના અને રોકડ ગાયબ હતા. આ ઘટનાને લઇને 4 અજાણ્યા તસ્કર વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
મળતી માહિતી અનુસાર જોટાણા તાલુકાના અર્જુનનગરમાં રહેતા નિવૃત માણેકલાલ નરોત્તમદાસ પટેલ તેમની પત્ની કોકીલાબેન સાથે ગાંધીનગર સરગાસણના ટીપી9 વિસ્તારમાં રહેતા દિકરાના ઘરે આવવા માટે નિકળ્યા હતા.
પત્ની કોકીલાબેનને સંધીવાની તકલીફ હોવાથી અને દાગીના લોકરમાં મુકવાના હોવાથી દિકરાને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જોટાણાથી અડાલજ ત્રિ મંદિર સુધી બસમાં આવ્યા હતા અને અડાલજથી દિકરાના ઘર સુધી જવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવ્યા હતા.
તે દરમિયાન એક સફેદ કલરની ઇકો કાર પાસે જતા તેમાં ડ્રાઇવર સાથે ચાર લોકો બેઠા હતા. જ્યારે કારમાં વચ્ચેની સીટમાં જગ્યા ન હોવા છતા સીટ ખાલી કરી બેસાડવામાં આવ્યા હતા. તે સમયે કોકીલાબેન પાસે એક થેલીમાં કપડાની અંદર દાગીના મુકવામાં આવ્યા હતા. જે થેલીને પગ પાસે મુકી હતી. જ્યારે દંપતીને સરગાસણ ફેન્ટાસી પાર્ટી પ્લોટ પાસે ઉતરી દિકરાના ઘરે પહોંચ્યા હતા. જયારે ઘરે જઇને થેલો ખોલતા દાગીના જ જોવા મળ્યા હતા નહિ. જેમા સોનાની ચાર બંગડી, સોનાનુ કાળા કલરનુ મોતી અને પેંડલ વાળુ મંગળસૂત્ર, સોનાની કંઠી, સોનાની વીંટી, સોનાની બુટ્ટી અને પર્સમાં મુકવામાં આવેલા રોકડા 11 હજાર રુપિયા મળી કુલ 4.61 લાખ રુપિયાની માલમત્તાની તસ્કરી થઇ ગઇ હતી. જેને લઇને અડાલજ પોલીસ મથકમાં ઇકો કારમા સવાર અજાણ્યા ચાર શખ્સો સામે ચોરીની ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ હતી.