ગાંધીનગરમાં પૈસાની માંગણી નહીં સંતોષાતા કપાતર પુત્રએ કોદાળીનાં ઘા ઝીંકી વૃદ્ધ માતાની કરપીણ હત્યા કરી


ગાંધીનગરના ધરમપુર ગામમાં ગઈકાલે રાત્રે કપાતર પુત્રએ પૈસાની માંગણી નહીં સંતોષાતાં 70 વર્ષીય વૃદ્ધ માતાને લાકડી વડે ઢોર માર માર્યો હતો. ઉપરાંત દારૂના નશામાં કપાતર પુત્રએ કોદાળીનાં ઘા ઝીંકીને માતાની કરપીણ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ બાબતે ચીલોડા પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરીને મૃતકની લાશનુ પીએમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધરમપુર ધનપુરા ગામમાં દારૂડિયા પુત્રએ તેની વૃદ્ધ માતાને બુધવારે રાતે લાકડી વડે ઢોર માર મારી કોદાળીના ઘા ઝીંકી અત્યંત ક્રૂરતાપૂર્વક મારતા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ કપાતરને દારૂ પીવા અંગે તેની માતા અવારનવાર ઠપકો આપતી અને ગઈકાલે રાત્રે પૈસાની માંગણી નહીં સંતોષાતાં પુત્રએ આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ધરમપુર ગામની સીમમાં ખેતરમાં રહેતાં 70 વર્ષીય વિધવા મધુબેન મનુસિંહ રાણાનો પુત્ર પ્રવીણસિંહ(ઉ. 50)દારૂ પીવાની ટેવ વાળો હોવાથી વર્ષોથી તેની પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા. આ પ્રવિણસિંહને સંતાનમાં બે દિકરાઓ છે. જે પિતાના કંટાડાના લીધે અલગ રહે છે. દર પંદરેક મહિને આ પુત્રો તેની દાદી મધુબેનને ત્રણેક હજાર આપી જતાં હતાં. જેનાં થકી ખેતરમાં એકલા રહેતા માં દીકરાનું ગુજરાન ચાલી જતું હતું.
પ્રવીણસિંહ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી કોઈ કામ ધંધો કરતો હતો નહિ અને વૃદ્ધ માતા જોડે અવારનવાર ઝઘડા કરી પૈસાની માંગણી કર્યા કરતો. દારુની કુટેવનાં કારણે મધુબેન ઠપકો આપતા તો પ્રવીણસિંહ તેની માતાને માર પણ મારતો હતો. તો આસપાસના લોકો વૃધ્ધાને છોડાવવા જાય તો પ્રવીણસિંહ તેઓની સાથે પણ ઝગડા કરતો હતો. જેથી કોઈ જલ્દી મદદ માટે જતું નહીં.
ગઈકાલે રાત્રિના સમયમાં પ્રવીણસિંહ જોરશોરથી મધુબેનને ગાળો બોલી બૂમો પાડી માં ઉભી થા ખોટા નાટક કરીશ નહી તેમ બાલતો હતો. આ સાંભળી બાજુમાં રહેતો નિતીનસિંહ નરેન્દ્રસિંહ રાણાએ ખેતરમાં જઈ દૂરથી જોતા મધુબેન તેમના મકાનની બહાર ખુલ્લી જગ્યામાં પડી રહ્યા હતા, અને તેઓ કોઇ બોલચાલ કરતા હતા નહિ. આથી નીતિને 108 જાણ કરતાં મેડિકલ ટીમે તપાસીને મધુબેનને મૃત ઘોષિત કર્યા હતા.ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો.
આ વિશે ચીલોડા પીઆઈ એ એસ અસારીએ જણાવ્યું હતું કે, મરનારનાં દીકરા એ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે રાત્રે પૈસાની માંગણી કરીને પ્રવીણસિંહે માતા મધુબેન સાથે ઝગડો કર્યો અને વૃધ્ધાને લાકડીથી ઢોર માર મારવા લાગ્યો હતો. આટલેથી સંતોષ ન થતાં દારૂડીયાં પ્રવીણસિંહે કોદાળીનાં ઘા માથામાં મારી મધુબેનની હત્યા કરી નાખી હતી. પછી તેમની લાશને ઢસડીને ખાટલા માં મૂકી ગાળો બોલી બૂમો પાડી માં ઊઠ નાટક કરીશ નહીં એમ બોલવા લાગ્યો હતો. હાલમાં તેની અટકાયત કરી લઈ મૃતકની લાશનું પીએમ સહિતની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.