પાલનપુરમાં નિવૃત્ત કર્મીચારીના ઘરમાંથી રૂ. 1.05 લાખના દાગીનાની કરાઇ ચોરી


પાલનપુર હનુમાન ટેકરી વિસ્તાર ગૌરી પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત કર્મચારીના ઘરમાંથી ચોર રૂપિયા 1.05 લાખના સોના ચાંદીના દાગીના ની તસ્કરી કરી ગયા હતા આ બાબતે તેમણે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ચોરનું પગેરૂ શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
કલેક્ટર કચેરીની ગૃહ શાખામાંથી નિવૃત્ત થયેલા મૂળ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રાણપુરના અને હાલમાં પાલનપુર હનુમાન ટેકરી વિસ્તાર ગૌરી પાર્ક સોસાયટીમાં રહેતા ગોદડજી લાલાજી ઠાકોર તેમના પરિવાર સાથે વતન ગયા હતા. ત્યારે રાત્રે શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા.
જ્યાં ઉપરના માળમાં આવેલા રૂમમાં પડેલી લોખંડની અને લાકડાની તિજોરી ખોલી અંદર પડેલ રૂપિયા 2400ના ચાંદીના સિક્કા નંગ ચાર, રોકડ 3,000, રૂપિયા 1,00,000નું સોનાનું મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 1,05,400ના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ વિશે ગોદડજી ઠાકોરે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી તેમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.