સંદેસરના પોસ્ટ માસ્તરે ખાતેદારોના 2.98 લાખ રૂપિયા લીધા પછી પોસ્ટમાં જમા ન કરાવી પાસબુક પણ ડુપ્લિકેટ આપી


આણંદના સંદેસર ગામમાં આવેલી પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તરે 2018થી 2021 દરમિયાન બે ખાતેદાર પાસેથી લીધેલા રૂ.2.98 લાખ અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. આ વિશે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આણંદ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટના ડાક નિરીક્ષકને ફરિયાદ મળી હતી કે, સંદેસર બ્રાંચ પોસ્ટ ઓફિસના બ્રાંચ પોસ્ટ માસ્તર કનુભાઈ અંબાલાલ પરમાર (રહે.સંદેસર)ને જુદી જુદી તારીખે અલગ અલગ ખાતેદારો કે જેમને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે જે રકમ આપી હતી, તેની ખોટી પાસબુક કુલ રૂ.2.98 લાખની બનાવી હતી. ખાતેદારોએ આપેલી રકમ અંગત કામમાં વાપરી નાંખી હતી. પણ કનુભાઈ પરમારે ખાતાકીય તપાસ દરમિયાન આ બાબતની કબુલાત કરી હતી. ખાતેદારોએ પણ પોતાના નામની કોટી પાસબુક જેમની જાણ બહાર બનાવી છે, તેનું જણાવ્યું હતું. આ ગેરરીતિના પગલે તેમને ફરજમુક્ત કરાયા છે. અલબત્ત, 21મી સપ્ટેમ્બર,21ના રોજ ડાક નિરીક્ષકની મુલાકાત દરમિયાન ગેરરીતિ બહાર આવી હતી. આ વિશે સાલિન્દર મહલની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે કનુ અંબાલાલ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો.
પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની તપાસમાં કનુભાઈ પરમારે નકલી પાસબુક બનાવી હોવાનું સામે આવ્યું હતું. અસલ પાસબુકના આગળના ચાર પેજ ફાડી 5મા પેજથી શરૂ કરીને ખાતેદારને આપી હતી અને તેમની પાસેથી રૂ.એક લાખ ફિક્સમાં મુકવા માટે લીધાં હતાં. પરંતુ તે રકમ વાપરી નાંખી હતી. કુલ બે ખાતેદાર પાસેથી રૂ.2.98 લાખ લીધા અને તેમને ચાર પાસબુક ખોટી બનાવી આપી હતી.