જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી 84.48 લાખના પિત્તળના માલની તસ્કરી કરાઇ


જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા બ્રાસના કારખાનામાંથી કોઈ ચોર 7 માસના સમયગાળા દરમિયાન કટકે કટકે 84.48 લાખની કિંમતના બ્રાસના માલ સામાનની તસ્કારી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર મચી જવા પામી છે. કારખાના સાથે જ મજૂરી કામમાં સંકડાયેલા કેટલાક ઇસમોનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવી એલસીબી ટીમે આ પ્રકરણમાં તપાસ કરી રહી છે. ચોરીના આ પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે તપાસ ચાલે છે.
જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર-1માં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં સ્ટર્લીંગ એન્ટરપ્રાઇઝીસ નામનું બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પ્રેમજીભાઈ હિરપરા નામના બ્રાસપાર્ટના કારખાનેદારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી 7 માસના સમયગાળા દરમિયાન કોઈ ચોર રૂા.84 લાખ 48 હજારની કિંમતના 19,200 કિલો બ્રાસના માલ સામાનની તસ્કરી કરી લઈ ગયાની ફરિયાદ દાખલ કરાવી છે. જે ફરિયાદના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસમાં ઝુકાવ્યું છે અને ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે.
જેમાં કારખાનામાં જ મિસ્ત્રી કામ કરતા કર્મચારી સહિતનાનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એલસીબીની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને સાતેક જેટલા ઇસમો આ પ્રકરણમાં સંકડાયેલા હોવાથી તેઓને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેના આધારે ભેદ ઉકેલી જવાની સંભાવના દર્શાવાઈ રહી છે.