ખંભાળિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત: મહિલાનું મોત, પતિ તથા સંતાનો ઇજાગ્રસ્ત


ખંભાળિયાજામનગર ધોરી માર્ગ પર આશરે સાત કિલોમીટર દૂર કંચનપુર વિસ્તારમાં આવેલા ટોલગેટ પાસેથી જી.જે. 10 એ.એ 0057 નંબરની મોટરસાયકલ લઈને નીકળેલા દિનેશભાઈ કાનજીભાઈ નકુમ નામના દલવાડી યુવાનની મોટરસાયકલને એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કરે લેતાં પરિવારજનો સાથે જઈ રહેલા દિનેશભાઈ મોટરસાયકલ સાથે ફંગોળાયા હતા.
આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દિનેશભાઈના પત્ની નીલમબેન નકુમને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક દિનેશભાઈને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. તેમની સાથે જઈ રહેલા તેમના પુત્ર સાહિલ તથા પુત્રી પ્રિયાને પણ નાની-મોટી ઇજાઓ પહોચી હતી, જેમને અહીંની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ ઘટના અંગે મૃતકના સસરા કાનજીભાઈ લાલજીભાઈ નકુમની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 304 (અ) મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.