ઉપલેટા મામલતદારની ટીમે નાગવદર અને ગધેથડ ગામમાં ત્રાટકી ચેકિંગ હાથધરી ખનીજચોરી પકડી પાડી: 4.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો


ઉપલેટા પંથકમાં ત્રણ નદીનો સંગમ થતો હોવાથી, ખાણ ખનીજ ખાતાની આળસ અને નીંભરતાના કારણે ભૂમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો છેલ્લા ઘણા સમયથી લોકોમાંથી આવી રહી છે અને તેને અનુલક્ષીને ઉપલેટા મામલતદારે નાગવદર, ગધેથડમાં ટીમ સાથે ત્રાટકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ટીમ આવતી હોવાની આગોતરી જાણ થઇ જતાં ખનીજચોરો ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી 4.20 લાખનો મુદામાલ જપ્ત કરી ટીમે પાછા ફરવું પડ્યું હતું.
ઉપલેટા તાલુકામાંથી મોજ, વેણુ તથા ભાદર સૌરાષ્ટ્રની ત્રણ મોટી નદીઓ ઉપલેટાની ત્રણેય બાજુથી પસાર થાય છે. આ નદીઓમાં છેલ્લા પાંચ વર્ષથી સતત ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરી વિસ્તારમાંથી લોકો કરી રહ્યા છે ત્યારે ઉપલેટા મામલતદાર ધનવાણીની ટીમ નાગવદર અને ગધેથળ ગામમાં આવેલ વેણુ નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદને આધારે ચેક કરવામાં આવતા ખનીજ ચોરો માલ સામાન મૂકીને નાસી ગયા હતા અને નદીના પટમાં રહેલા રેતી ચારવાના સાત ચારણ કે જેમની કિંમત 4,20,000 જેવી થવા જાય છે તે ઉપલેટા મામલતદારએ બિન વારસી જપ્ત કરી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ચારણના આધારે આ ખનીજ ચોરી કોણ કરતું હતું અને કેટલી ખનીજ ચોરી કરી તે પોલીસ તપાસ કરી ખનીજ ચોરો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને તેમની અટકાયત કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.