ડોક્ટરના ઘરનો દરવાજો બંધ કરી તેમના ભાઇના ઘરમાંથી તસ્કરે રૂ 1.70 લાખની મતાની ચોરી કરતા ફરિયાદ નોંધાઈ


શહેરના જામનગર રોડ પરના પરાસરપાર્કમાં રહેતા ડોક્ટરના મકાનનો દરવાજો બંધ કરી તેમના મકાનની નીચેના માળે રહેતા તેમના ભાઇના રૂમના તાળાં તોડી અંદર પ્રવેશેલા ચોર સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
પરાસરપાર્કમાં રહેતા અને હડાળા આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતાં ડોક્ટર પ્રવીણભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.35)એ ચોરીની ઘટના વિશે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને તેમના ભાઇ એક જ મકાનમાં ઉપર નીચે પરિવાર સાથે રહે છે.
રાત્રે ડો.પ્રવીણભાઇના ભાઇ કમલેશભાઇ અને તેના પત્ની રાધિકાબેન નોકરી પર નાઇટ ડ્યૂટીમાં હતા, તેમના મકાનના બારણાને તાળું માર્યું હતું. સવારે સાતેક વાગ્યે ડોકટર પ્રવીણભાઇના પત્ની વર્ષાબેને તેમને નિંદ્રામાંથી ઉઠાડ્યા હતા અને ઉપરના માળે આવેલા તેમના મકાનનો દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધાની જાણ કરી હતી, ડોક્ટરે પાડોશીને ફોનથી જાણ કરતા તેઓ દરવાજો ખોલી ગયા હતા.
ડો.પ્રવીણભાઇ તે સાથે જ નીચેના માળે આવતા તેમના નાનાભાઇ કમલેશભાઇના મકાનનું તાળું તૂટેલું હતું, અંદર તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખની માલમતાની તસ્કરી થઇ ગઇ હતી. યુનિવર્સિટી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસની શરૂઆત કરી હતી.