જસદણમાં PSIએ માથાકૂટ કરતાં મામલો બીચક્યો મુખ્ય બજારમાં વેપારીઓના ટોળેટોળાં એકત્ર થયા


જસદણની મેઈન બજારમાં ફટાકડા સહિતનો વેપાર કરતા વેપારીઓ સાથે નવનિયુક્ત પીએસઆઈ એસ.એમ.રાદડીયા સહિતના સ્ટાફે પોલીસવાન સાથે ખાખી વર્દીનો રોફ જમાવવા માટે ગેરવર્તન કરતા મામલો બીચકી ગયો હતો અને થોડીવારમાં જ મેઈન બજારમાં વેપારીઓના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે જસદણની મેઈન બજારમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કલાકો સુધી વેપારીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા જસદણ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિતના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાજર પોલીસ જવાનો સાથે સમજાવટ કરી મામલો થાળે પડ્યો હતો.
આ ઘટનામાં જસદણ પોલીસની દાદાગીરીને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ભારે નારાજગી ઉઠી હતી. આ તક સાથે જસદણની મેઈન બજારમાં ફટાકડાનો વેપાર કરતા વેપારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, જસદણમાં વેપારીઓ પાસે ફટાકડા વેચવાના લાયસન્સ હોવા છતાં સ્થાનિક પોલીસે દર વર્ષે ખોટી રીતે પરેશાન કરાય છે. છતાં સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વિશે કોઈ પગલા ભરવામાં ન આવતા હોવાથી વેપારીઓમાં નારાજગી ઉઠવા પામી છે.