રોડની સાઈડમાં ઉભેલા દંપતીને કારે ઠોકર મારતા પત્નીનું મોત નીપજયું

મોટર સાયકલ લઈને પોતાની સાસરીમાં જવા નીકળેલા હિંમતનગરના સરોલી ગામના દંપતીને વિજાપુર પાસે એક કારે ઉલાળી ને અકસ્માત કરતા પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર કારચાલક સામે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિજાપુરના આનંદપુરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. હિંમતનગર તાલુકાના સરોલી ગામમાં રહેતા લાલસિંહ સુખસિંહ ચૌહાણ નામનો યુવક પોતાની પત્ની જીંકલબેન સાથે જી.જે.09.સી.એફ.1109 નંબરનું મોટરસાયકલ લઈને પોતાની સાસરી દેહગામના ગોતા ગામે જવા માટે નીકળ્યા હતા. ત્યારે વિજાપુર પાસે આનંદપુરા રણાસણ રોડ પર તેમની સાળીનો ફોન આવતા મોટરસાયકલ ઊભું રાખીને લાલસિંહ અને તેમની પત્ની જીંકલબેન રોડની સાઈડમાં ઊભા હતા. તે સમય દરમિયાન જી.જે.01.કે.એક્સ.3349 નંબરની વેગનઆર કારના ચાલકે પૂરપાટે ચલાવીને રોડની સાઈડમાં ઉભેલા દંપતીને ઠોકર મારતા બંને ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. કારની ઠોકરે રોડ પર પટકાયેલા લાલસિંહ અને જીંકલબેનને શરીરના જુદા જુદા ભાગો પર ઇજાઓ થઈ હતી.
જ્યારે ઠોકર મારનાર કારચાલક ઘટના સ્થળે કાર મૂકીને ભાગી હતો. 108ની મારફતે દંપતીને પ્રથમ વિજાપુર સિવિલ હોસ્પિટલ મધ્યે અને ત્યારપછી વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ગંભીર ઇજાગ્રસ્ત જીંકલબેનને મૃત ઘોષિત કર્યા હતા. લાલસિંહે આ બાબતે કારચાલક સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને ગંભીર અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.