ભચાઉ ઓવરબ્રિજના લોકાર્પણ બાદ નબળી કામગીરી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા

copy image

ભચાઉ દુધઈ હાઇવે પરના બ્રિજનું કામ છેલ્લા આઠ વર્ષથી ચાલ્યા પછી તાજેતરમાં ઉતાવળે કામ પૂરુ કરાયું હતું અને ગુરૂવારે આચારસંહિતાના જાહેર થયા પૂર્વે જ સવારે ધારાસભ્યના હાથે લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યા બાદ જેની અપેક્ષા હતી તે નબળુ કામ બહાર આવ્યું છે. બ્રિજ પરના સિમેન્ટના સ્લેબ બહાર આવી જતાં કામની ગુણવત્તા નબળી હોવાનું બહાર આવ્યું છે. મોરબી દુર્ઘટના હજુ તાજી છે તેમ છતાં સરકારી અને વહીવટી તંત્રએ બ્રિજની સુરક્ષા અને કામની ગુણવત્તાની ખાતરી કર્યા વિના લોકાર્પણ કરી ડેટા અનેક સવાલો ઉઠ્યા છે.

ભુજ-ભચાઉ હાઇવે પર છેલ્લા આઠ વર્ષથી ભચાઉ અને ભુજોડી ઑવરબ્રિજના કામકાજ અટકેલા પડ્યા હતાં. ચારેક મહિના પૂર્વે ભુજોડી ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજનું કામ પણ વિવાદમાં આવતું રહેતું હોય છે. તેવામાં હવે ભચાઉ ઓવરબ્રિજનું કામ પણ તકલાદી હોવાનું સામે આવ્યું છે. ગુરૂવારે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ઉતાવળે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને સંબંધિત પદાધિકારીઓની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. વાહન વ્યવહાર શરૂ થયા પછી જ ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના પોપડા સમાના સિમેન્ટની સ્લેબ બહાર આવવા લાગી ગઈ છે.

ભચાઉથી ભુજ સુધીના માર્ગનું કામ આઠ વરસ પૂર્વે શરૂ કરાયું હતું. મુંબઈની એક જાણીતી કંપનીને 300 કરોડમાં કામ આપવામાં આવ્યા બાદ કરછના કેટલાક પેટા કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટરો બદલતા રહ્યા અને કામ અટકતુ રહ્યું હતું. ભુજોડી ઓવરબ્રિજનું કામ માંડ આઠ વર્ષે પૂરુ થયા પછી ભચાઉ ઓવરબ્રિજનું કામ પણ છેલ્લા થોડા સમયથી ઉતાવળથી કરવામાં આવીરહ્યું હતુ. હાલમાં જ મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના થઇ હોવા છતાં ઉતાવળે ભચાઉ ઓવરબ્રિજ ચાલુ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

અહીં સિમેન્ટના સ્લેબ બહાર આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. આ સ્લેબ બહાર આવ્યા બાદ પણ રાત્રી સુધી બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામા આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પણ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો થયાના આક્ષેપ કરાયા હતા.