શક્તિનગર વિસ્તારમાં ઘરમાં ઘૂસેલા 4 ઇસમોએ વૃદ્ધ વેપારીને મારમારી છરી વડે ઇજા પહોચાડી30 હજારની લૂંટને અંજામ આપ્યો

શક્તિનગર વિસ્તારના ઘરનો દરવાજો તોડી એકલા રહેતા વૃધ્ધ વેપારીને માર માર્યા પછી છરીથી ઇજા પહોંચાડી રોકડ, ચાંદીના સિક્કા, મોબાઇલ, બેંકના કાગળો તથા ક્રેડિટ કાર્ડ લઇ જઇ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનાથી બનવા પામી છે.

સેક્ટર-1 શક્તિનગરમાં પત્ની નંદિનીબેનના નિધન પછી એકલા રહેતા અને મેઇન બજારમાં ઉત્તમ ક્લોધીન સ્ટોર ચલાવતા 73 વર્ષીય વેપારી તારાચંદભાઇ આલુમલ લખવાણી રાત્રે નવ વાગ્યે દુકાન બંધ કરી ઘરે પરત આવ્યા હતા. જમીને તેઓ ટીવી જોઇ રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા ચાર 25 થી 30 વર્ષના લાગતા શખ્સો તેમના ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસી આવ્યા હતા.

એક શખ્સના હાથમાં છરી હતી અને બુઢ્ઢા તારી પાસે જે કંઇ હોય તે આપી દે કહી ચારે જણાએ તેમને માર માર્યો. પ્રતિકાર કરવા જતાં છરી વડે પણ પીઠ, હાથના ભાગમાં ઇજાઓ કરી કબાટનો દરવાજો તોડી રૂ.20,000 રોકડ, રૂ.3,000 ની કિંમતના ચાંદીના 12 સિક્કા, રૂ.7,000 ની કિંમતનો મોબાઇલ ફોન , બેંકના જરૂરી કાગળો તથા ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂ.30,000 ની લૂંટને અંજામ આપી નાસી ગયા હતા.

 ઇજાગ્રસ્ત વૃધ્ધ વેપારીએ ગુરૂકુળ મધ્યે રહેતા પુત્ર દિપકને જાણ કરતાં પુત્ર સાથે ભત્રીજા સુરેશભાઇ અને રોહિતભાઇ પહોંચી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમણે અજાણ્યા ચાર શખ્સો સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ પી.સી.મોલિયાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.