ભુજની મીરજાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગટરની સફાઈ કરવા ઉતરેલા બે કામદારના મોત થતાં ચકચાર:પરિવારજનોમાં આક્રંદ,મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

copy image
ભુજના મીરજાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા કોન્ટ્રાક્ટરના બે સફાઈ કામદારોના ગેસ ગૂંગળામણથી મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામી છે. સાંજે ભૂગર્ભ ગટરમાં બંને સફાઈ કામદારો બેહોશ થઈ જતા બંનેને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. બનાવના કારણે હોસ્પિટલ પર વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી છે. પરિવારજનોએ બંને મૃતકોના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
ભુજના મીરજાપરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોન્ટ્રાક્ટરે ભરત શાંતિલાલ અઠવા તથા રવિ રાજુભાઈ મારવાડી નામના યુવાનોને મોકલ્યા હતા. બંને યુવાનો ગટરની ચેમ્બર ઉતરતા જ ગૂંગળામણના કારણે બેહોશ થઈ ગયા હતા. જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બંનેનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવથી પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. તો બીજી બાજુ ઉપસ્થિત લોકો રોષે ભરાયા હતા. આ નાગે જવાબદારી નક્કી કરવાની માગ બે સફાઈ કામદારોના મોતના પગલે હોસ્પિટલ પર સમાજના આગેવાનો અને પરિવારજનો પહોંચ્યા હતા. આ અંગે જે લોકોની બેદરકારી છે તેની સામે કાર્યવાહીની માંગણી કરાઈ છે. પરિવારજનો દ્વારા બંનેના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.