ભુજમાં કોન્સ્ટેબલના ઘરમાંથી પોણા 3 લાખની તસ્કરી

ભુજમાં પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલના ઘરને નિશાન બનાવીને ઘરમાંથી 9 તોલા સોનાના દાગીના સહિત પોણા ત્રણ લાખની તસ્કરી કરાઇ છે.મળતી માહિતી અનુસાર, કોમલબેન નિકુંજદાન રતનદાન ગઢવીએ જણાવ્યું કે, તેમના 36 ક્વાર્ટર પોલીસ લાઈનમાં આવેલા મકાન નંબર 120/Bને કોઈ અજાણ્યા ચોરે નિશાને તાકયું હતું.

બંધ પડેલા મકાનના પાછલા દરવાજેથી કોઈ ઇસમોએ પાટીયુ તોડી ઘૂસીને દરવાજાનો નકુચો ખોલી અંદરના રૂમમાં રહેલા લોખંડના કબાટના દરવાજાને લોખંડના ઓજારથી તોડી અને બે લોકરમાંથી અંદાજે નવ તોલા સોનાના વિવિધ દાગીના કિંમત રૂપિયા 2.70 લાખ તથા 5000 રોકડા મળી કુલ 2.75 લાખની રકમની તસ્કરીને અંજામ આપ્યો હતો.

ફરિયાદી મહિલાના પતિ નિકુંજદાનને પૂર્વે સસ્પેન્ડ કરાયા હતા અને હાલમાં નારાયણ સરોવર પોલીસમાં લેવામાં આવ્યા હતા ત્યારે જ આ ઘટના બની છે. 2 દિવસની પોલીસની આંતરિક તપાસ પછી અંતે ગુનો નોંધી તપાસ પીએસઆઈ એસ.એ.વણકરને સોંપાઈ છે.