પડાણા-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

ગઇકાલે રાત્રે ભીમાસરની કંપનીથી ગાંધીધામ આવી રહેલા બાઇકચાલક યોગેશ વનસ્પિતિને પડાણા-ગાંધીધામ માર્ગ પર કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. ગઇકાલે રાત્રે ભીમાસરની કંપનીમાં કામ કરતા મૂળ બિહારના અને હાલે ગાંધીધામના યોગેશ વનસ્પિતિ પોતાની બાઇક નં. જી.જે. 12 ડી.એફ. 3882વાળી લઇને કંપનીથી ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે પડાણાથી ગાંધીધામના માર્ગ પર એચ.પી. પેટ્રોલપંપ સામે કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતાં માથાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાના પગલે રામબાગ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે માર્ગ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.