સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન: અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર દેશલપર(કંઠી)ના મસીહાનું “ગુડ સમરીટન ” એવોર્ડથી સન્માન કરાયું
કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યકિતઓને ”ગુડ સમરીટન ” એવોર્ડ હેઠળ સર્ટિફિકેટ તથા નાણાકીય રાશિ એનાયત કરાય છે
અકસ્માત સમયે ઘાયલ વ્યકિતને પ્રથમ એક કલાકના ક્રિટિકલ સમયમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. આ માનવીય વિચાર તથા મદદ કરવાની ભાવના દરેક નાગરીકમાં જાગે અને તેઓ અકસ્માતગ્રસ્તોને કાયદીય ભય વિના મદદગારી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ”ગુડ સમરીટન ” એવોર્ડ યોજના અમલી કરાઇ છે. જે હેઠળ અકસ્માતગ્રસ્તોની મદદ કરનાર નાગરીકોને જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ ” ગુડ સમરીટન” એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.
જે અનુસંધાને કચ્છમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇજાગ્રસ્તો માટે મસીહા બનનાર જિલ્લાના એક નાગરીકોનું ” ગુડ સમરીટન” એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ કલેકટરશ્રી અમિત અરોરાએ મુન્દ્રાના દેશલપર(કંઠી) ગામે થયેલા બાઇક અકસ્માતમાં ભોગ બનનાર બે ઇજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરનાર શ્રી ઈશાક દાઉદ કુંભારનું ગુડ સમરિટન એવોર્ડ હેઠળ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ જિલ્લા એસ.પી શ્રી ડો.કરણરાજ વાઘેલા તથા આર.ટી.ઓ. શ્રી પી. પી. વાધેલા ઉપસ્થિત રહ્યા હતા.