ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડળી કરનાર આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા
copy image
ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણી માગવાના પ્રકરણમાં આરોપી મનીષ મહેતાએ પેરિટીના ગ્રાઉન્ડ પર આગોતરા જામીનની માંગ કરેલ હતી જે કોર્ટે પ્રથમદર્શી ગુનો અને મુખ્ય આરોપી માની જામીન નામંજૂર કરેલ છે. નોંધનીય છે કે, આ કેસમાં પ્રથમ આરોપી વિનય રેલોન ઉર્ફે લાલાની ધરપકડ કરી ત્યારે જ તપાસકર્તા દ્વારા મનીષ મહેતાને રાઉન્ડઅપ કરી તેના નિવેદન લઇ જવા આપવામાં આવ્યા હતા. તેમજ આ જ કેસની આરોપી આશા ગોરીએ હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી જે નામંજૂર થયેલ છે. આ હનીટ્રેપ કેસમાં વકીલોની દલીલો અને પોલીસ તપાસની ફાઇલ જોઇ કોર્ટે કહ્યું કે, મનીષ દ્વારા ફરિયાદી અનંતને ફોન કરી મળવા બોલાવી મામલાની પતાવટ માટે મુંબઇ જઇ રમેશ જોશીને મળવા જણાવવામાં આવ્યું હતું તેમજ મનીષે શંભુ જોશીને ફોન કરી અનંત સાથે આ અંગે વાત કરાવી હતી. આ પ્રથમદર્શી ગુનો બનતો હોવાનું અને મનીષને મુખ્ય આરોપી માની છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.વી. શાહ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી અને ફરિયાદી પક્ષે એડવોકેટ આર.એસ. ગઢવી, ખેતશી પી. ગઢવી અને વિનિત ચૌધરી હાજર રહી દલીલો કરેલ હતી. તેમજ આ જ હનીટ્રેપ કેસની નાયિકા એવી સુરતની આશા ગોરીએ કૌટુંબિક કારણોને આગળ ધરીને એક માસ પૂરતા વચગાળાના જામીનની માંગ સાથેની અરજી હાઇકોર્ટમાં રજૂ કરી હતી, પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા તેની આ જામીન અરજી રદ કરવામાં આવી હતી.