અંજાર ખાતે આવેલ કોટડામાં બંધ ઘરનાં તાળાં તોડી 41 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
અંજાર ખાતે આવેલ કોટડા ગામના એક બંધ ઘરમાંથી રૂા. 41,000ની તસ્કરી થઈ હતી. મળેલ માહિતી અનુસાર કોટડા ગામના હસ્તકલા નગરમાં રહેતા તેમજ જૂની દુધઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા સીમાબેન ભૂરાભાઈ લોંચા દ્વારા આ ચોરીના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદી અને તેમનો પરિવાર ગત રાત્રે સૂઈ ગયેલ હતા બાદ આજે વહેલી પરોઢે ઉઠી જોતાં પાડોશમાં રહેતા પોતાના ભાઈ મહેશના મકાનનો દરવાજો ખુલ્લો હતો. જેથી ફરિયાદીએ જઈને જોતાં મકાનના દરવાજાના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતાં તેમજ અંદર રહેલી તિજોરી પણ તૂટેલ હાલતમાં જણાઈ હતી અને સરસામાન વેરવિખેર પડયો હતો. તિજોરીના ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં રહેલા દાગીનાની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ તિજોરીમાંથી પગમાં પહેરવાના ચાંદીના કાંબિયા નંગ-બે, પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર નંગ-બે તથા રોકડા રૂા. 1000 એમ કુલ રૂા. 41,000ની મતાની તસ્કરી કરી ઈશમો નાસી છૂટ્યા હતા. પોલીસે અજાણ્યા ચોર ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.