ભચાઉની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ: કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા
copy image

ભચાઉમાં આવેલ પાર્શ્વ સિટી સોસાયટીમાં, તસ્કરોએ સામૂહિક ચોરીના બનાવને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો. આ સોસાયટીનાં ચાર મકાનનાં તાળા તોડી તસ્કરોએ રૂા. 5,53,000ની મતાની ચોરી કરી હતી. ભચાઉની પાર્શ્વ સિટી સોસાયટીનાં મકાન નંબર બી-139માં રહેતા અને અણુશક્તિ – આરતી ઈન્ડસ્ટ્રીઝમાં સિવિલ કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતા પ્રશાંત રેવતીશરણ ગોયલે બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને તેમના પત્ની વંદનાબેન ગત તા. 13/9ના બપોરે અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યા હતા ત્યાંથી બંને બાલી (ઈન્ડોનેશિયા) ફરવા ગયા હતા. આ દંપતી તા. 23/9ના સવારે પરત આવતાં તેમનાં ઘરના દરવાજા ખુલ્લા જણાયા હતા. દંપતી મકાનમાં જતા સરસામાન વેરવિખેર જણાયો હતો. તેમનાં બંધ ઘરનાં તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટમાંથી સોનાંનું ડાયમંડવાળું બ્રેસ્લેટ, સોનાંનું ડાયમંડવાળુ નેકલેસ, ચાંદીના ઝાંઝર, નજરિયા તથા રોકડ રૂા. 1,20,000 એમ કુલ રૂા. 5,35,000ની મતાનો હાથ માર્યો હતો. આ ઉપરાંત આ જ સોસાયટીમાં પાછળની લાઈનમાં મકાન નંબર 147માં રહેતા તરૂણ ગર્ગનાં મકાનમાંથી રૂા. 2500, ચાંદીના પાંચ સિક્કા, કેમેરા, કાંડા ઘડિયાળની ચોરી કરી હતી. સામૂહિક આક્રમણ કરનારા તસ્કરોએ મકાન નંબર 148માં મનિષ બંસલનાં ઘરમાંથી રોકડ રૂા. 2500 તેમજ ડી-6માં પણ હાથ માર્યો હતો. તસ્કરોએ આ ચાર મકાનમાંથી કુલ રૂા. 5,53,000ની મતાનો હાથ મારી નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે. કંપની ગોદામ કે ખુલ્લામાંથી કંપનીના વાયર કે અન્ય સામાનની ચોરીના ભેદ ઉકેલાય છે, પણ લાંબા સમયથી ઘરફોડ ચોરીના બનાવો પરથી પડદો ઊંચકાતો નથી. હાલમાં ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ચડ્ડી, બનિયાનધારી ટોળકી રાત્રિના સમયે ફરતી સી.સી.ટી.વી.માં નજરે ચડી હતી. ઘરફોડ ચોરીના બનાવો પરથી પડદો ઊંચકવા અને પેટ્રોલિંગ વધારવા લોક દ્વ્રારા માંગ ઊઠી હતી.