મેઘપર કુંભારડીની સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની સોસાયટીમાં બંધ મકાનમાંથી 1.07 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના મેઘપર કુંભારડીની સંતકૃપા સોસાયટીમાં મકાન નંબર-31માં આ ચોરીનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર ફરિયાદી મૂળ સાંય – તા. રાપરના મહેશ મનસુખલાલ વ્યાસ અંજાર ખાતે કિંગ સ્ટોર નામની સ્ટેશનરીની દુકાન ચલાવે છે. મુંદ્રા રહેતા તેમના કાકા રમેશ જયંતીલાલ વ્યાસનું ઓપરેશન થતા ગત તા. 22/4ના સવારે ફરિયાદી તેમના પરીવાર સાથે ત્યાં ગયેલ હતા. જ્યાથી પરત ઘરે આવતાં તેમના ઘરનાં તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા ઉપરાંત તમામ સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળી આવેલ હતો. બાદમાં ફરિયાદીએ વધુ તપાસ કરતાં અહીથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 1,07,500ની માલમાત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.