ભુજ અને ગાંધીધામમાં નાગરિકોએ ટોકન ફી ભરીને હેલ્થ કેમ્પનો લાભ લેવા અપીલ કરાઈ
ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ ખાતે ટોફન ફી ભરી નાગરિકો આરોગ્ય કેમ્પમાં બોડી ચેકઅપ કરાવી શકશે અને યોગાભ્યાસમાં સામેલ થઈ શકશે.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતા ઘટાડવા વિશે માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી સવારે ૬:૩૦ થી ૮:૦૦ કલાક દરમિયાન યોજાશે. આ અભિયાનના ભાગરૂપે, કય્છ જિલ્લામાં ભુજ તેમજ ગાંધીધામ એમ બે જગ્યાએ શિબિર યોજાશે. ભુજમાં ગુણાતીત ચોક, પ્રમુખસ્વામી નગર, પહેલા ગેટ પાસે, મુન્દ્રા રિ-લોકેશન સાઈટ અને ગાંધીધામમાં ગોપાલપુરી ઓફિસર ક્લબ, આંબેડકર ગાર્ડન ખાતે આ કેમ્પના અનુસંધાને નાગરિકોના નિશુલ્ક બોડી ચેકઅપ અને નિષ્ણાંતો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ કેમ્પ માટે ટોકન ફી રૂ.૩૦૦ રાખવામાં આવી છે.
યોગ અભ્યાસ અને યોગ્ય આહાર સંબંધિત જાણકારી દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સ્થાનિક નાગરિકોને આ કેમ્પમાં જોડાઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને મેદસ્વિતાથી મુક્ત થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઈચ્છુક નાગરિકો રજિસ્ટ્રેશન લીંક https://forms.gle/JpEzUTWATiWsMP6y6 ઉપર જરૂરી વિગતો સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વધુ માહિતી માટે ભુજ માટે જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ભુજ શ્રી વિજયકુમાર શેઠ મો. ૮૧૬૦૭૬૦૨૧૫ તેમજ ગાંધીધામ માટે પૂજાબેન લાલવાણી મો. ૯૪૨૭૧૭૮૪૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.