કોમર્શિયલ રીતે સ્પર્ધાત્મક ગરબાના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું
આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્છ જિલ્લામાં આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ દરમિયાન તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્તારોમાં જિલ્લા બહારથી, રાજ્ય બહારથી જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપોને બોલાવી એન્ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી કોમર્શિયલ પ્રકારના સ્પર્ધાત્મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે.
જેથી આવા મોટા પાયે કોમર્શિયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્યૂઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્થાઓએ હાલની સલામતીની દ્રષ્ટિએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત માનવ મેદની વગેરે બાબતે ચોકસાઇ અને તકેદારી રાખી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણએ એક જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના ગરબાઓ મોડામાં મોડા રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે તેમ ફરમાવેલ છે. આ ઉપરાંત દરેક સંસ્થા/વ્યકિત તે સ્થળ અંગેનું પરફોર્મન્સ પ્રિમાઇસીસ લાયસન્સ નિયમાનુસાર મેળવી સ્થાનિકે રાખવા અંગે જાહેરનામામાં જણાવાયું છે.
સંબંધિત અધિકારી પાસે લાઉડ સ્પીકર વગાડવાની નિયમોનુસારની મંજૂરી મેળવી લેવાની રહેશે. ઇલેકટ્રીક અંગેના કનેક્શનો સંબંધિત ઓથોરિટી પાસેથી મેળવી લેવાના રહેશે. ફાયર સેફ્ટીના સાધનો કાર્યક્રમ સ્થળે રાખવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડીટેક્ટર રાખવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર તથા પાર્કીંગની જગ્યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. કાર્યક્રમમાં અવર-જવરનું રેકોર્ડીંગ (વીડિયોગ્રાફી) કરવાનું રહેશે અને આ રેકોર્ડીંગની સીડી.પોલીસ કંટ્રોલરૂમને આપવાની રહેશે. પાર્કીંગ માટે પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે. સિક્યોરિટી માણસો સલામતી માટે રાખવાના રહેશે અને ગરબીના આયોજકોએ તેઓની સંસ્થાનું નામ, મંડળનું નામ, આયોજકનું નામ, મોબાઇલ નંબર તથા અન્ય કાર્યકરોની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી