નખત્રાણા ખાતે આંબેડકર નગર કોલોનીમાં રહેતા રાધા અરવિંદ વાઘેલાના બંધ મકાનના તાળાં તોડીને ગત રાત્રિના અરસામાં તેમાંથી રૂ. 66,200 ના મુદામાલની તસ્કરી થતાં પોલીસ દોડધામમાં પડી ગઈ છે. બહાર આવેલી વિગતો પ્રમાણે આંબેડકર નગર કોલોનીમાં રહેતા શ્રી વાઘેલા અને તેમના પરિવારના સભ્યો ઘર બંધ કરીને બહારગામ ગયા હતા. ત્યારે રાત્રિના અરસામાં તેમનું નિવાસસ્થાન તસ્કરોનું નિશાન બન્યું હતું. આ તસ્કરી બાબતે લખાવાયેલી ફરિયાદમાં બસત ઉર્ફે પ્રેમજી વાઘેલાનું નામ શકદાર તરીકે લખાવાયું છે. પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકી આ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં બંધ મકાનના તાળાં તોડીને કોઈ હરામખોરો અંદર ઘુસ્યાં હતા. મકાનના કબાટ અને તિજોરીના લોક ખોલી તેમાંથી રોકડા રૂ.20,000 ઉપરાંત રૂ. 24,000ની ચાર સોનાની વીંટી, રૂ.13,000ની સોનાની બે બુટી, રૂ. 5,000 ની સોનાની ચુડી, ઉપરાંત રૂ.4,000 ના ચાંદીના સાંકળા અને રૂ.200ની ચેઇન મળી કુલ 66,200 ની માલમતા તેઓ તસ્કરી ગયા હતા. ઘરફોડ તસ્કરીની જાણ થતાં તપાસનિશ ફોજદાર શ્રી ભરવાડ સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે ઘસી જઈને છાનબીનમાં પરોવાયા હતા. બાનવનો ભેદ ઉકેલવા પોલીસે સર્વગ્રાહી કાર્યવાહી હાથ ધરવા સાથે ગુનાશોધક ગંધપારખુ શ્વાન તથા હસ્તરેખા નિષ્ણાતોની મદદ લેવા સહિતના પ્રયાસો હાથ ધાર્યા છે.