માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

દેવાંગ ગઢવીએ આક્રોશ સાથે કહ્યું, આ વિષયમાંથી નીકળી જજો નહીતો તમારો પરિવાર નહીં રહે…
ગોચર બચાવ માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કાઠડાની પવિત્ર જમીન પરથી સામાજિક અગ્રણી દેવાંગ ગઢવી ચારણના શબ્દોમાં શ્રાપ આપ્યું…
માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામની અંદાજે 587 એકર ગૌચર જમીન એરસ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે ગ્રામજનો અને ગૌસેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલન અને ગ્રામ્ય જીવન માટે મહત્વપૂર્ણ ગણાતી ગૌચર જમીન ઉપર થતી કથિત દખલગરી સામે હવે ગ્રામજનો આંદોલનના માર્ગે આગળ વધ્યા છે. આ મુદ્દે સામાજિક અગ્રણી અને જળસંચયના પ્રણેતા દેવાંગ ગઢવી ચારણે કાઠડા ગામની પવિત્ર ભૂમિ પરથી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ મહાદેવ સુધી યાત્રાનો પ્રારંભ કર્યો છે. યાત્રાના આરંભ પ્રસંગે તેમણે અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગૌચર જમીનના મુદ્દે જવાબદારોએ ગંભીરતા દાખવવી જોઈએ તેવી માંગ સાથે તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન માત્ર જમીન નથી, પરંતુ પશુપાલકોની આજીવિકા અને ગ્રામ્ય સંસ્કૃતિનું આધારસ્તંભ છે. જો ગૌચર જમીન પર કબજો અથવા ઉપયોગ ચાલુ રહેશે તો પશુપાલકોની જીવનરેખા ખોરવાશે. આથી ગામમાં એકતા સાથે ગૌચર બચાવ માટે સંઘર્ષ કરવાની ઘોષણા કરવામાં આવી છે. ગૌચર જમીન મુદ્દે કાઠડા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે. ગ્રામજનો અને ગૌસેવકો દ્વારા ચાલી રહેલું આંદોલન હવે વિશાળ સ્વરૂપ લે તેવી શક્યતા છે, જ્યારે તંત્ર અને સરકાર તરફથી શું પગલાં લેવામાં આવશે તે તરફ સમગ્ર વિસ્તારમાં નજર મંડાઈ છે.