સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા :અમિત ચાવડા

કોંગ્રેસ પક્ષનું થીમસોંગ “હવે તો સમજો લઈ આવો પંજો” અને સોશીયલ મીડીયા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું.
કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે : શ્રી અમિત ચાવડા
• દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ગાંધીજી અને સરદાર પટેલના આદર્શોથી પ્રેરિત છે, જ્યાં હંમેશા પ્રગતિશીલ વિચારધારા અને સહિયારા પ્રયત્નોથી વિકાસ થયો છે. રાજ્યની સ્થાપનાથી આજ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્તાનું કેન્દ્રિકરણ નહીં પરંતુ વિકેન્દ્રિકરણમાં વિશ્વાસ રાખે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મજબૂત બને અને લોકો પોતે પોતાના વિકાસના નિર્ણય લઈ શકે એ કોંગ્રેસની વિચારધારા રહી છે. તેથી વર્ષો સુધી કોંગ્રેસે આ સંસ્થાઓને સત્તા અને સશક્તિકરણ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
આપણા શહેરો માત્ર વિકસી રહ્યા નથી, પરંતુ સપનાઓ જોઈ રહ્યા છે. શું આ સપનાઓ દરેક સુધી પહોંચે છે? ૨૦ વર્ષ કરતા વધુ સમયથી હાલના શાસકો શહેરી નાગરિકો પાસેથી બેફામ વસૂલાતા ટેક્ષનો હિસાબ આપવાથી ભાગી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે એક એવું ગુજરાત, જ્યાં દરેક શહેર દરેક નાગરિકનું હોય. એક એવું ગુજરાત, જ્યાં વિકાસ પસંદગીનો નહીં, પરંતુ સર્વસમાવેશી હોય. કોઈ પરિવાર ગૌરવથી વંચિત નહીં રહે, કોઈ નાગરિક અજાણ્યો નહીં લાગે. કોંગ્રેસ નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં ગૌરવનું કમિટમેન્ટ કરે છે. દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, સરળ અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા, સ્વચ્છ રસ્તાઓ અને આધુનિક કચરા વ્યવસ્થાપન, મજબૂત સરકારી આરોગ્ય અને શિક્ષણ કારણ કે મૂળભૂત સુવિધાઓ વૈભવ નથી તે હક છે. ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા ફી, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે. પારદર્શિતા વિશ્વાસપાત્ર સરકાર એ કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે.
ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ. કોંગ્રેસનું વિઝન એ છે કે દરેક નાગરિકને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા મળી રહે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક કચરા વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે. દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શહેરો માત્ર અમુક લોકો માટે નહીં પરંતુ દરેક માટે હોવા જોઈએ. ગરીબ મજૂરથી લઈને નાના વેપારી, યુવાનો અને મહિલાઓ સુધી દરેકને સમાન તક મળે તે જરૂરી છે. કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા લોકોને કાયદેસર ઓળખ અને સ્થિર વ્યવસ્થા આપવામાં આવશે. સર્વસમાવેશી વિકાસ, રોજગારની તક અને ગૌરવ સાથે જીવવા યોગ્ય શહેરો બનાવવા કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા સમક્ષ મજબૂત પ્રતિબદ્ધતા સાથે ઊભી છે.
શાસન બંધ દરવાજાઓ પાછળ નહીં ચાલે. કોંગ્રેસ પક્ષ ખુલ્લા બજેટ અને જાહેર માહિતી, ડિજિટલ પ્રોજેકટ ટ્રેકિંગ, નાગરિકોની સીધી ભાગીદારી, દરેક રૂપિયા ક્યાં ખર્ચાયો તે દેખાશે. દરેક વચનનું હિસાબ મળશે. કોંગ્રેસના શાસનમાં સત્તા નાગરિકો પાસે હશે અને અમે એવી વ્યવસ્થા બનાવશું જ્યાં શાસકો આપને જવાબદાર રહેશે. સમયબદ્ધ સેવા આપવાની ખાતરી, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, સીધી ફરિયાદ નિરાકરણ વ્યવસ્થાની ખાતરી આપે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ આગામી પાંચ વર્ષ માટે શહેરો અને ગામોના વિકાસની દિશા નક્કી કરનારી પ્રક્રિયા છે. કોંગ્રેસે હંમેશા સામાન્ય માણસને વહીવટમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. SC, ST, OBC અને મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા આગળ વધારવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ખાસ કરીને સ્વ. રાજીવ ગાંધીજીના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત મળી અને આજે તે ૫૦% સુધી પહોંચી છે. આ પગલાં લોકશાહી અને સમાનતા માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ગુજરાતમાં ટ્રિપલ એન્જિન સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે બિરાજમાન છે.તેમ છતાં સુરત શહેર જ્યાં આખા દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી લોકો આવીને વસ્યા છે અને જેમના પરસેવાથી સુરતનો વિકાસ અને અર્થતંત્ર ધબકે છે, ત્યાં લોકોની ભારે અવગણના થઈ રહી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા એ.આઈ.સી.સી. પ્રભારીશ્રી કે.કે. શાસ્ત્રીજી, સોશીયલ મીડીયા સેલના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.