પોલીસ જ ઉઘરાણા કરે તો લોકો લાચાર બની જાય : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને સગીર સાથે યાત્રા કરતાં એક વ્યક્તિ પાસેથી બળજબરીથી વસૂલી અને અપરાધી ધમકી આપવાના ત્રણ આરોપી રેલવે પોલીસકર્મીને આગોતરા જામીન રદ કરી નાખ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, કાયદાપાલન કરાવનાર જ ઉઘરાણા કરે તો નાગરિક લાચાર બની જાય છે. આ પોલીસકર્મીઓને ગત વર્ષે સપ્ટેમ્બરમાં બોમ્બે હાઇ કોર્ટમાંથી રાહત મળી હતી. મળતી માહિતી મુજબ આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી પણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યા મુજબ જ્યારે કાયદો લાગુ કરનારા જ બળજબરીથી ઉઘરાણા કરવા માંડે તો નાગરિક અસહાય થઈને જોતો રહી જાય છે અને તેની પાસે ચૂપચાપ ઝૂકી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. આ ટિપ્પણી સાથે કોર્ટે આરોપીઓનાં આગોતરા જામીનનાં આદેશને અસ્પષ્ટ ગણાવીને ખારિજ કરી નાખ્યો હતો.