પીઓકેમાં ક્રૂરતા : ભારતની પાકને ફટકાર
copy image

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, આ પાકિસ્તાન દ્વારા નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. એક મીડિયા હેવાલ અનુસાર ,પીઓકેમાં બર્બરતાના અહેવાલોના પગલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બતાવ્યું હતું કે, પાકિસ્તાન માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આર્થિક અને રાજકીય ફરિયાદો પર પીઓકેમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનારા એક મુખ્ય નાગરિક સમાજ ગઠબંધન, યુનાઇટેડ અવામી એક્શન કમિટી પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યા બાદ અથડામણ શરૂ થઈ હતી. દરમિયાન અંધાધૂધ કરાયેલા ગોળબારમાં 30થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 200થી વધુ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટી સાથે જોડાયેલા કાર્યકરો સામે અધિકારીઓએ કાર્યવાહી શરૂ કર્યા પછી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા હતા. પીઓકેમાં પ્રસ્તાવિત `લોંગ માર્ચ’ પહેલાં પાકિસ્તાને અનેક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. આંદોલન સાથે સંકળાયેલા નેતાઓનો આરોપ છે કે, 5 જૂનની રાતથી સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે, જેના કારણે સંદેશાવ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.