ઈઝરાયલ-લેબેનોનમાં અંતે શાંતિ સમજૂતી
copy image

ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને શાંત કરવા માટે અમેરિકાની મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આખરે સફળ રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે વાશિંગ્ટન સ્થિત વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલ અને લેબેનોને એક ઐતિહાસિક શાંતિ કરારની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું પ્રથમ અને અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. ભડકી ગયેલાં હિઝબુલ્લાહે આ શાંતિ સમજૂતીનો વિરોધ કરતાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ સમજૂતી લાગુ કરવાની કોશિશ કરાશે તો લેબેનોન ગૃહયુદ્ધની આગથી દાઝશે. અમેરિકાની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકામાં લેબેનોનના રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને ઇઝરાયલના રાજદૂત યેચિયલ લાઇટર દ્વારા આ ત્રિપક્ષીય દસ્તાવેજ પર સહીઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, `આજે અમે એક એવા પ્રવાસની શરૂઆત કરી છે જે બેશક ઘણો મુશ્કેલ હશે, પરંતુ આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય છે.’ બીજી તરફ, ઇઝરાયલી રાજદૂત લાઇટરે ખૂબ જ મજબૂતાઈથી વાટાઘાટો કરવા બદલ લેબેનોની રાજદૂત હમાદેહની પ્રશંસા કરી હતી. લેબેનોનના રાજદૂતે જણાવ્યું કે, આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વની પુન:સ્થાપના અને લોકોની સુરક્ષા માટે પ્રથમ કદમ છે. વાશિંગ્ટનમાં શાંતિ કરારની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ એક મોટું અને કડક નિવેદન આપ્યું છે. નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનું સંપૂર્ણપણે નિ:શત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં પોતાની હાજરી જાળવી રાખશે. જો કે, નેતન્યાહુએ એમ પણ ઉમેર્યું હતું કે, ઇઝરાયલની સેના લેબેનોનની સત્તાવાર આર્મીને બે પ્રાયોગિક વિસ્તારો (એક્સપેરિમેન્ટલ ઝોન)માં નિયંત્રણ લેવાની મંજૂરી આપશે, જેમાં એક વિસ્તાર લેબેનોનની લિતાની નદીની દક્ષિણમાં અને બીજો તેની ઉત્તરમાં આવેલો છે. અધિકારીઓએ હજુ સુધી આ ફ્રેમવર્ક ડીલની સંપૂર્ણ શરતો જાહેર કરી નથી અને તે અગાઉના 16 એપ્રિલના યુદ્ધવિરામ કરારથી કેવી રીતે અલગ છે તેની વિગતો આવવાની બાકી છે.