૬૦ વર્ષથી ઉજ્જડ વનોરી ગામમાં આજે પણ ગુંજે છે ‘હર હર મહાદેવ’ના નાદ

કચ્છના અબડાસા તાલુકામાં સમયની ગતિ સાથે અનેક ગામો ઉજ્જડ બની ગયા છે. ક્યારેક જ્યાં માનવ વસવાટ અને શાળાના ધબકારા સંભળાતા હતા, એ જ ગામ આજે ભલે નિર્જન છે, પરંતુ ત્યાં આવેલા પ્રાચીન ધર્મસ્થાનો આજે પણ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. આવું જ એક ગામ છે અબડાસાનું વનોરી, જ્યાં એક પણ મકાન નથી, છતાં કલ્યાણેશ્વર મહાદેવનું પવિત્ર શિવાલય શ્રાવણ માસમાં શિવભક્તોના આવાગમનથી ધમધમી ઊઠે છે. મોટી સિંધોડી ગામથી આશરે અઢીથી ત્રણ કિલોમીટર દૂર આવેલું વનોરી ગામ આમતો ૬૦૦ થી વધુ વર્ષનું ઇતિહાસ ધરાવે છે પરંતુ આ ગામમા આશરે ૬૦થી ૬૫ વર્ષ અગાઉ માનવ વસ્તી ધરાવતું હતું. અહીં દસનામ ગોસ્વામી, ભાનુશાળી તેમજ ચારણ-ગઢવી સમાજના પરિવારો વસવાટ કરતા હતા. આસપાસના ગામોમાં શાળાની સુવિધા ન હોવાથી અહીં આવેલી પ્રાથમિક શાળામાં આજુબાજુના ગામોના બાળકો પણ અભ્યાસ કરવા આવતા હતા. જોકે સમય જતાં ગામની વસ્તી સ્થળાંતર કરી ગઈ અને વનોરી ઉજ્જડ બની ગયું.
સમયના કારણે જર્જરિત બનેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર મૂળ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં વૃક્ષો, બિલીપત્ર અને ફૂલછોડના કારણે સમગ્ર સ્થળ નયનરમ્ય બન્યું છે. અહીં પૂજા-અર્ચના માટે મહંતના રહેવાની વ્યવસ્થા, ૨૪ કલાક વીજળી અને પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન અને રુદ્રી કરવા આવે છે. સ્થાનિક અગ્રણી કાંતિભાઈ ગોર, મોટી સિંધોડીના સરપંચ ગોપાલભાઈ ગઢવી તથા અબડાસા તાલુકા પંચાયતના માજી પ્રમુખ મૂળરાજભાઈ ગઢવીએ પણ ભક્તોને અહીં દર્શન માટે આવવા અપીલ કરી છે. શ્રાવણ વદ ચૌદશ, ૧૦ સપ્ટેમ્બરના રોજ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવવાની સાથે રુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં મૂળ વનોરી ગામના રહેવાસીઓ રાજકોટ, મુંબઈ સહિત વિવિધ શહેરોમાંથી એકત્રિત થાય છે. મંદિર સુધી જવા આવવા માટે હાલતો કાચો રસ્તો છે જે પાકો રોડ બને તેવી સ્થાનિકોની માંગ છે, જેથી વધુ શ્રદ્ધાળુઓ માટે આ પવિત્ર સ્થળે પહોંચવું સરળ બને…