ભાનુશાળીના 21 ક્લિપવાળા મોબાઇલ અંગે મનીષા અને સુરજિતની પૂછપરછ

જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી હજુ સુધી તેમનો મોબાઇલ મળ્યો નથી. હાલમાં રિમાન્ડ હેઠળ રહેલી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની પૂછપરછમાં ભાનુશાળીના મોબાઇલની માહિતી મળવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. સીઆઈડી ક્રાઈમના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મનીષા અને સુરજિતની આકરી પૂછપરછ ચાલી રહી છે, ખાસ કરીને ભાનુશાળીના મોબાઇલની તપાસ ચાલી રહી છે, જેમાં 21 વીડિયો ક્લિપ છે અને રહસ્યો છૂપાયા હોવાની સંભાવના છે. જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેના 10 મહિનામાં સીઆઈડી ક્રાઈમે કુલ 11 આરોપીની ધરપકડ કરી છે. જોકે જયંતી ભાનુશાળીનો મોબાઇલ ફોન કોની પાસે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. કચ્છની મીઠી ખારેક ખવડાવવા માટે જાણીતા જયંતી ભાનુશાળી તેમના મોબાઈલ ફોનમાં સંખ્યાબંધ બાબતો રાખતા હતા જેને લઈને તેઓ ચર્ચામાં રહેતા હતા. જે દિવસે હત્યા થઈ ત્યારથી તેમનો એ મોબાઈલ ફોન ગુમ થયો છે.