કંડલા પોર્ટની આગ 29 કલાક પછી પણ બેકાબુ, પોર્ટટ્રસ્ટ અને કંપની સામે ઉઠી રહ્યા છે સવાલ

સોમવારે બપોરે કંડલાની IMD કંપનીના ટર્મિનલ સ્ટોરેજમાં 303 નંબરની ટાંકીમાં આગ લાગી ગઇ હતી. લાગેલી આગ પર હજુ સુધી કાબુ આવ્યો નથી. જ્વલનશીલ મિથેનોલથી ભરેલી આ ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટક આગ એટલી ભયાનક હતી કે કામ કરી રહેલા ચાર મજુરોનાં ચિથડા ઉડી ગયા હતા. આખો દિવસ અને રાત પ્રયાસ કરવા છતા પણ આગ કાબુમાં આવી શકી નહોતી.ટાંકો ફાટ્યા બાદ તેમાંથી આગની ઉંચી ઉંચી ઝાળ ઉડી રહી છે. જેથી નીચેથી માત્ર પાણીનો જ મારો ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ આગ ક્યાંથી ઉઠી રહી છે અને ક્યાં પાણીનો મારો ચલાવવો વગેરે અંગે સ્થિતીનો તાગ મેળવવા માટે હાલ ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોર્ટ પ્રવક્તાએ જણાવ્યું કે, દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલામાં એક ટાંકીમાં ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. જેમાં 4 કામદારોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ટાંકાની આસપાસ અન્ય પણ ઘણી સ્ટોરેજ ટાંકીઓ હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખી રાત આગને નિયંત્રિત રાખવા અને આસપાસની ટાંકીઓનું ટેમ્પરેચર ન વધે તે માટે સતત ફાયર બ્રિગેડના વાહનો દ્વારા પાણીનો છંટકાવ સતત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફોમનો મારો પણ સતત કરવામાં આવી રહ્યો છે.ઘટના સમયે વિસ્ફોટનો અવાજ આસપાસનાં માર્ગોનાં વાહનો સુધી સંભળાયો હતો. જેથી લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાથી પોર્ટની આસપાસ રહેલા મોટી સંખ્યામાં જ્વલનશીલ લિક્વિડનો સંગ્ર કરતી વ્યવસ્થા સાથેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેસર ટર્મિનલ, ઓઇલ જેટીમાં પણ અગાઉ ભયાનક આગ લાગી ચુકી છે. આ ઉપરાંત કેમિકલ ઉડવા અને તેના પરિચયમાં આવવાના કારણે મજુરોનાં મોત નિપજ્યાનાં કિસ્સા છાશવારે બને છે. ત્યારે સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.