બન્નીના ગામડાઓનું પાણી કોમર્શિયલ રણોત્સવમાં આપી દેવાતા લોકોમાં રોષ

રણોત્સવમાં તંત્ર દ્વારા અપાતા પાણીના કારણે બન્નીના ગામડાઓમાં પાણી વ્યાપક તંગી સર્જાઈ છે. એક તરફ કરોડોનો નફો રળતા રણોત્સવમાં પાણીની રેલમછેલ છે બીજીતરફ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈને માથાકુટ ઉભી થઈ છે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પાણી પુરવઠાના અધિકારીઓ પુર્વ તૈયારીઓ વગર ગામડાના પાણી બંધ કરીને રણોત્સવમાં પાણી ફાળવી રહ્યા છે. ૩ માસ ચાલનારા આ ઉત્સવને લઈને પુર્વ તૈયારી વગર જ કામગીરી કરાઈ રહી છે. ગોરેવલી સંપમાં પાણી સંગ્રહ માટે ઘણી બધી સુવિધાઓ છે તેમાં એક પાણીનો હોજ ૨૫ લાખ લિટરનો છે જે બન્યો ત્યારથી આજદિન સુધી પાણીના દર્શન કર્યા નથી. આ અંગે રજુઆત કરતા જવાબ મળે છે કે, પ્રથમ પ્રાથમિકતા રણોત્સવને આપવાની છે.હાલે સવારે ૮ થી રાત્રે ૮ સુધી રણોત્સવમાં છુટથી પાણી અપાય છે બીજીતરફ ગામોમાં પાણી માટે વલખા ઉભા થયા છે. લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, સવાર થી સાંજ સુધી રણોત્સવમાં પાણી અપાયા બાદ બાકીના સમયમાં ગામડાઓમાં વિતરણ કરાય છે ત્યારે આટલા સમયમાં બધે પુરતુ પાણી મળી શકતું નથી. જો રણોત્સવને પ્રાથમિકતા આપવાની હોય તો આટલા વર્ષોથી તેના માટે અલાયદી વ્યવસ્થા કેમ કરાઈ નથી તે સવાલ ઉઠાવાયો છે. ગામડા માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમજ ગેરકાયદે કનેકશનો તપાસ કરીને કડક પલા ભરવા માંગ ઉઠી છે.