ભુજ અને ગાંધીધામમાં યશ બેન્કમાં નાણા ઉપાડવા લોકોની લાઈનો લાગી

યશબેંક પર આરબીઆઈ દ્વારા નિયંત્રણો લાદી દેવાતા નાણા ડુબવાના ભય સાથે ગ્રાહકોએ આજે ભુજ-ગાંધીધામ ખાતેની બેંકની શાખાઓ બહાર નાણા ઉપાડવા લાઈનો લગાવી હતી. કામ-ધંધા છોડીને નાણા લેવા માટે લાઈનમાં ઉભા રહેલા લોકોમાં પોતાના નાણાનું શું થશે? તેવો ઉચાટ જોવા મળ્યો હતો.આર્થિક સંકટનો સામનો કરી રહેલી બેંકના ડાયરેકટર બોર્ડને ભંગ કરીને આરબીઆઈ દ્વારા પોતાના વહીવટદાર નીમી દેવાયા છે. બીજી તરફ બેંકમાંથી નાણા ઉપાડવા અમુક પાંબદીઓ લગાવતા ગ્રાહકોમાં ભારે ઉચાટ ફેલાયો છે. માત્ર રૂ.૫૦ હજાર ઉપાડવાની જ છુટ અપાતા બચતમુડી ડુબમાં જશે તે ભય સાથે બેંક બહાર ખાતેદારોએ લાંબી લાઈનો લગાવી હતી. લોકો પોતાના ધંધા-રોજગાર છોડીને કલાકો સુધી બેંક બહાર તપ્યા હતા. લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, મધ્યમવર્ગીય લોકો માટે મુસીબત ઉભી થઈ છે. નાણા ઉપાડની મર્યાદાના કારણે રોજીંદા ખર્ચ, બાળકોની ફીથી માંડીને નાના-મોટા ખર્ચ માટે મુશ્કેલી ઉભી થશે. ઉપરાંત રૂ.૫૦ હજારથી વધુના ચેંક બાઉન્સ જતા બીજી નવી ઉપાધિઓ ઉભી થશે. હાલે બેેંક દ્વારા ચેક સ્વીકારવાનું પણ બંધ કરી દેતા લોકો વધુ હાલાકીમાં મુકાયા હતા. બીજીતરફ એટીએમમાંથી પહેલાથી લોકોએ રોકડ ઉપાડી લેતા એટીએમ શોભાના ગાંઠીયા બની ગયા હતા.