રાજકોટમાં એક દિવસમાં 3 પોઝીટીવ કેસ, 10થી વધુ શંકાસ્પદ

રાજ્યમાં બાર કલાકમાં નવા કેસો નથી તે મુદ્દે હજુ રાહતનો શ્વાસ લેવાય તે પહેલા શ્વાસ અધ્ધર ચડી જાય તેમ રાજકોટમાં જ એક સાથે ત્રણ પોઝીટીવ કેસો આજે રાત્રે જાહેર થયા છે. નવ દિવસ પહેલા દુબઈથી વાયા મુંબઈ થઈ રાજકોટ આવેલા યુવાનને કોરોના પોઝીટીવ જાહેર થવા સાથે તેના સીધા સંપર્કમાં આવેલા એક યુવાનને ગઈકાલે પોઝીટીવ રિપોર્ટ બાદ આજે આ જ દુબઈ રિટર્ન યુવાન મયુરધ્વજસિંહ ઝાલા (ન્યુ કોલેજવાડી, કાલાવડ રોડ)ના સંપર્કમાં આવેલા અન્ય બે યુવાનોને તથા એક યુવાનના પત્નીને પણ કોરોના પોઝીટવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાના મુદ્દે સૌરાષ્ટ્રમાં રાજકોટની સ્થિતિ વધુ ગંભીર બની રહી છેપોરબંંદર,જામનગર,મોરબી સહિતના અન્ય ૧૫ રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા હતા. રાજકોટ જિલ્લા અને મનપાના આરોગ્ય સૂત્રો અનુસાર આજે ૧૧ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ કરાવાયું હતું જેમાં (૧) ૩૯ વર્ષનો યુવાન, (રહે.એકતા એપાર્ટમેન્ટ-૨૦૨, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર )(૨)૩૭ વર્ષીય યુવાન (રહે. વલ્લભાશ્રય, તપસ સોસાયટી, નાનામવા રોડ) અને (૩) ૩૩ વર્ષીય મહિલા (રહે.પંચશીલ એપાર્ટમેન્ટ, રોયલપાર્ક-શેરી નં.૮, કાલાવડ રોડ) એમ ત્રણ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.આ અંગે આરોગ્ય અધિકારી ડો.ભંડેરી તથા ડો.રાઠોડે જણાવ્યું કે આ ત્રણ નવા કેસોમાં બન્ને યુવાનો અગાઉ પોઝીટીવ રિપોર્ટ આવેલા અને દુબઈથી રિટર્ન મયુરધ્વજસિંહના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ચેપ લાગ્યાનું તારણ છે. જ્યારે ૩૩ વર્ષીય મહિલાને તેના પતિ તરફથી ચેપ લાગ્યાનું તારણ છે અને તેના પતિ કે જેમનો રિપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યો હતો. આમ, વિદેશથી પરત વ્યક્તિના સંપર્કથી શહેરમાં આ કેસો વધ્યા છે. આ પહેલા ન્યુ જાગનાથ પ્લોટમાં માતા-પુત્રને કોરોના પોઝીટીવના કેસો નોંધાયા તેમાં પુત્ર એન.આર.આઈ.ના સંપર્કમાં આવ્યો હતો.મનપાની આરોગ્ય ટીમ દ્વારા સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, કાલાવડ રોડ, નાનામવા રોડ વગેરે વિસ્તારમાં આજે પોઝીટીવ રિપોર્ટ આવ્યો તે દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા, કોને મળ્યા અને કોને કોરોના વાયરસનો ચેપ લગાડયો હોય શકે તેવા લોકોની ઓળખ મેળવવા રાત્રે દોડધામ કરી હતી. આવા લોકોએ તેમના અને જાહેર હિતમાં ક્વોરન્ટાઈન થવું અર્થાત્ અલાયદા થવું અને શરદી,ઉધરસ,તાવ સહિતના લક્ષણો હોય તો તાકીદે સારવાર કરાવવા જણાવાયું છે. એવું પણ જાણવા મળ્યું છે કે વિદેશથી આવેલ યુવાન તેના શરીરમાં સાથે કોરોના વાયરસ લઈને આવ્યા છતાં તેનું સમયસર ટેસ્ટીંગ કરીને તેને ક્વોરન્ટાઈન તંત્ર દ્વારા નહીં કરાતા અને બીજી તરફ યુવાનો પોતે અલાયદા રહેવાને બદલે હળવા મળવાનું ચાલુ રાખતા ચેન રિએક્શનની જેમ આ રોગ ફેલાયો છે. બીજી તરફ વિદેશથી આવેલા નદીમ નામનો યુવાન પણ અસંખ્ય લોકોને મળ્યો છે પણ તેના સંપર્કમાં હજુ કોઈ પોઝીટીવ કેસ નહીં આવ્યાનું તંત્રે જણાવ્યું છે.રાજકોટમાં આજે કોરોનાના શંકાસ્પદ એવા વધુ ૧૦થી વધુ દર્દીઓ ધ્યાને આવ્યા છે જેમના સેમ્પલીંગ માટે રાત્રિના મોડે સુધી કાર્યવાહી હાથ ધરાશે અને તેના રિપોર્ટ આવતીકાલે આવશે. હાલ રાજકોટમાં કોરોના પોઝીટીવના ૮ દર્દીઓ હોસ્પિટલે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે જેમની તબિયત સ્થિર ગણાવાઈ છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસો નોંધાતા રહ્યા છે જેમાં (૧) જામનગરમાં ૧૮ સેમ્પલનું ટેસ્ટીંગ કરાવાયું હતું જેમાં રાજકોટના ૩ પોઝીટીવ કેસો આવ્યા હતા, જ્યારે પોરબંદરના ૪, મોરબીના ૧ અને જામનગરના ૨ સહિત ૧૫ રિપોર્ટ નેગેટીવ આવેલ છે. (૨) દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના ૯ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ગત તા.૧૨ના મીઠાપુરની ટાઉનશીપમાં કલકત્તાથી આવેલ યુવાનની તબિયત લથડતા તેને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરીને તેના સેમ્પલ લેબપોરેટરી મોકલાયા છે. (૩) વેરાવળ તાલુકામાં બે દર્દીઓ શંકાસ્પદ કોરોનાના જણાતા તેમને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. જેમના સેમ્પલ લેવાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ૧૬૦માંથી ૨૮ ફોરેન રિટર્ન મુસાફરોએ હોમ ક્વોરન્ટાઈન પૂુરું કરેલ છે.