કચ્છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ય રાજયો કરતાં ગુજરાતે સૌથી વધુ શ્રમિક ટ્રેનો અને બસો દોડાવવાનો દાવો કરી સરકારની કામગીરીનો શ્રેય દર્શાવ્યો હતો. બીજી બાજુ કચ્છમાં ગાંધીધામમાં સવારે યુપીના ગોરખપુર જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનને એકાએક રદ્દ કરાતાં આગલેᅠ દિવસે સાંજથી વિવિધ જગ્યાએથી આવી ગયેલા ૧૨૫૦ શ્રમિકો અટવાયા હતા. દરમ્યાન એકાએક રદ્દ થયેલી ટ્રેન અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગરે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની તીખી પ્રતિક્રિયા દર્શાવી હતી. કોંગ્રેસે આ દ્યટનાને શ્રમિકો સાથેની ક્રૂર મજાક ગણાવી શ્રમિકોને ભૂખ્યા તરસ્યા રખાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, યુપી સરકારને શ્રમિકો યુપી પહોંચ્યા પછી તેમને તેમના સ્થળોએ પહોંચાડવામાં થતી મુશ્કેલી સંદર્ભે ગુજરાતથી આવતી શ્રમિક ટ્રેનો રદ્દ કરવા માટે જિલ્લાઓને જાણ કરી હતી. પરંતુ આ અંગે સતાવાર રીતે વધુ કોઈ માહિતી મીડીયા સુધી ન પહોંચતા શ્રમિકો અવઢવમાં રહ્યા હતા. મધરાતે ૫૦૦ થીયે વધુ શ્રમિકોનું ટોળું અંજાર પ્રાંત કચેરી પાસે એકઠું થયું હતું. પણ, વતન જવા બેતાબ એવા આ ગરીબ શ્રમિકોની ધાં ટ્વીટર મારફત પણ કલેકટર સુધી વહેતી કરાયા છતાંયે કંઈ પરિણામ મળ્યું નહોતું. અંતે પોલીસતંત્ર દ્વારા શ્રમિકોની સમજાવટ હાથ ધરાઈ હતી.