લોકડાઉનના પગલે વ્યાજ ભરી ન શકતા વાંકાનેરના યુવકે આત્મહત્યા કરી હતી

મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેરના જીનપરામાં રહેતા યુવાને બે દિવસ પહેલા વ્યાજખોરોનો ત્રાસ હોવાથી ઝેરી દવા પી જીવન ટુકાવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે. જીનપરા વિસ્તારમાં રહેતા જયેશ સોમાભાઈ બાવળીયા નામના 20 વર્ષના યુવાને તા.26 ના રાત્રીના દશેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી 108 વડે તેને વાંકાનેર સિવિલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયેશ સેામાભાઇ બાવળીયા નામના યુવાનનું મોત નીપજયું હતું જે આપઘાતના બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા સેામાભાઇ બાવળીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં લખાવાયું છે કે શહેરની આસીયાના સોસાયટીમાં રહેતા સરફરાજભાઈ હુસેનભાઈ મકવાણા પાસેથી તેના દીકરા જયેશે ચારેક મહિના પહેલા 150000 રૂપિયા મહિનાના 13000 ના હપ્તા લેખે લીધા હતા. ચાર મહિનાથી ધંધો ન હોવા છતાં સરફરાજભાઈ હુસેનભાઈ મકવાણા દ્વારા વ્યાજ અને મુદલની રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી તેના દીકરાએ આપઘાત કરી લીધો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.