રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની અનેક સૂચનાઓ પણ ખુદ મુખ્યમંત્રીએ પણ આપી હતી પણ તે બાદ રાજકોટમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના સંક્રમણથી 102 મોત અને ઓગષ્ટ માસમાં જ 466 દર્દીઓને જીવન ગુમાવતા રાજય સરકાર ચોંકી ઉઠી હતી અને રાજકોટમાં મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ જે રીતે હજું પણ કોરોનાને હળવાથી લઈને લોકોના જીવન સાથે ‘રમત’ રમી રહ્યા હોવાનું ખુલતા જ ડો. રવિએ આજે સવારે જ જબરી અફડાતફડી સર્જી દીધી છે.રાજકોટમાં કોરોના સંક્રમણના વિસ્ફોટ જેવી સ્થિતિ તથા હવે આપણું મહાનગર સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બની રહ્યું હોવાના સંકેત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના આરોગ્ય અગ્ર સચીવ ડો. જયંતિ રવિને ખાસ 10 દિવસ માટે ડેપ્યુટ કર્યા બાદ ડો. રવિએ ફાયર બ્રાન્ડ મૂડ બનાવીને અધિકારીઓની લેફટરાઈટ કરી હોવાનું શરૂ કરતા સમગ્ર મહાનગરનું કોરોનાનું સંક્રમણમાં જોડાયેલું તંત્ર ઉંધા માથે દોડતું થઈ ગયું છે.
સવારે તેઓએ સિવિલમાં મુલાકાતે દોડી ગયા હતા અને તેઓનું ધ્યાન અહી 108ની જે કતાર પડી હતી તે જોઈને ચોંકી ગયાં હતા. ગઈકાલે જ ડો. રવિ પાસે વ્યાપક ફરિયાદ આવી હતી કે રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ 104 સહિતની હેલ્પલાઈનમાં ફોન કરે છે અને મ્યુ. કોર્પોરેશનમાં પણ માહિતી આપે છે પણ કલાકો સુધી કોરોનાના શંકાસ્પદને લેવા 108 કે એમ્બ્યુલન્સ કલાકો સુધી પહોંચતી નથી અને કાલે જ ડો. રવિએ કોઈપણ કોલનો એક જ કલાકમાં રીસ્પોન્સ મળવો જોઈએ તેવી તાકીદ કરી હતી. છતાં આજે જે રીતે 108ની કતાર સિવિલમાં પડેલી જોઈને ડો. રવિએ તેમની સાથે રહેલા અધિકારીઓને તુર્ત જ શા માટે કોલ પેન્ડીંગ છતા આ 108 અહી પડી છે તેવો પ્રશ્ન પુછી બધાને સ્તબ્ધ કરી દીધા હતા.ડો. રવિએ કોઈપણ કોરોના કોલ એટેન્ડ કર્યા બાદ તેને સેનીટાઈઝ કરીને બીજા કોલમાં રવાના કરવા અને એક કલાકથી વધુ કોઈ કોલ પેન્ડીંગ ન રહે તે જોવા તાકીદ કરી હતી. ડો. રવિએ આ ઉપરાંત હવે કોરોનાનો એક પણ શંકાસ્પદ પણ બાયપાસ ન થાય તે જોવા ખાસ તાકીદ કરી હતી અને અધિકારીઓ સાથેની બેઠકમાં એસી ચેમ્બરમાં બેસી ન રહેતા ફિલ્ડમાં જ સતત નજર રાખવા તાકીદ કરી હતી. ડો. રવિએ કોરોના કામગીરીમાં જોડાયેલા તમામ વિભાગના અધિકારીઓની બેઠક લીધી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારૂ નિરીક્ષણ છે કે સિવિલમાં કોરોના સંબંધી કોઈપણ સેવાના બે છેડા ભેગા થતા નથી. સરકારે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવા છતાં દર્દીઓની સતત ફરિયાદ મળી રહી છે.