અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત વાયુવેગે ફેલાઈ રહી છે અને આ ચર્ચાએ સમગ્ર જિલ્લામાં જોર પકડેલ છે.આજથી એક-દોઢ વર્ષ પહેલા જિલ્લાના મુખ્ય આગેવાનોના નામે ગરીબોના હકક હિસ્સાનું અનાજ બારોબાર વેચી માર્યાના કૌભાંડ પર આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ પ્રકાશ પાડ્યો હતો . બાદમાં રાબેતા મુજબ તપાસના ઢોંગ શરૂ થયા હતાઅને ગણ્યા ગાંઠયા દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા અને તેની વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને એકાદ પૂરવઠા કર્મી વિરૂઘ્ધ ફરિયાદ દાખલ થયા બાદ સમગ્ર પ્રકરણની તપાસ આગળ વધતી અટકી ગઈ હોય અને બધુ જ સંકેલાઇ ગયું હોય તેવું બન્યું હતું. કૌભાંડ બહાર આવ્યું ત્યારે, અમરેલીના રેશનીંગ દુકાનધારકોએ સોગંદનામું કરીને કયાં પૂરવઠા અધિકારીને કેટલી રકમનો હપ્તો આપવામાં આવે છે તે જાહેર કર્યું હતું. પરંતુ, તે અંગેની તપાસ પણ આગળ વધતી નથી.
વધુમાં , લાખો કિલો અનાજ બારોબાર વેચી મારનાર બનાવટી રેશનકાર્ડ બનાવનાર સહિતના અનેક કૌભાંડીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરતાં હોય મુખ્યમંત્રી વિજય રૂપાણી ખરેખર ભ્રષ્ટાચારીઓને કાયદાનુસાર સજા અપાવવા ઈચ્છતા હોય તો અમરેલી જિલ્લાના આ ઐતિહાસિક રેશન કૌભાંડની તટસ્થ નિષ્ઠાવાન અધિકારી પાસે તપાસ કરાવે અને કસૂરવાન જે કોઈ હોય તેને જેલના સળીયા પાછળ ધકેલે તેવી લોકમાંગ ઉઠી છે.