સ્કૂલ ફી માફી મુદ્દે વિધાનસભામાં હોબાળો: શિક્ષણમંત્રીએ માત્ર લેખિત જવાબ આપ્યા, વિપક્ષે કહ્યું જો ફી માફ નહીં કરાય તો આંદોલનઃ પરેશ ધાનાણી

વિપક્ષ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ફી માફી અંગે ટૂંકી મુદતનો સવાલ કર્યો સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત, યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છેઃ ધાનાણી

કોવિડ-19 ના કારણે સ્કૂલ ફી માફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સ્કૂલ ફી માફી મુદ્દે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ માત્ર લેખિતમાં જવાબ આપી ચર્ચા કરવાનું ટાળ્યું હતું, જેને કારણે અકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં નારેબાજી કરી હતી અને હંગામો મચાવ્યા બાદ વૉકઆઉટ કર્યું હતું.

1.51 કરોડ વિદ્યાર્થીની સત્ર ફી માફ કરવામાં આવે
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર રાજકીય રોટલા શેકવામાં મસ્ત છે અને બીજી બાજુ ગુજરાતના યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. ગુજરાતના 1.51 કરોડ વિદ્યાર્થીની સત્ર ફી માફ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ વિદ્યાર્થીઓની સાથે રહીને આંદોલન કરશે.

કોરોના કાળ માં પાછલા 6 મહિના શાળાઑને તાળાં લાગેલા છે, જ્યારે ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી એવામાં લોકડાઉનને કારણે વાલીઓની આર્થિકસ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ છે. તેઓ હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ અંગે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે. હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતાં સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો. ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીને નામંજૂર કરી હતી . . હાઈકોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય લેવા સરકાર સમર્થ છે. ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.