અંજાર કોવીડ કન્ટ્રોલ રૂમની રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જાત મુલાકાત લઇ સમીક્ષા કરી


વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા અને સલામતીના સાવચેતીરૂપ પગલાં લેવાં કચ્છ જિલ્લામાં કોવીડ હેલ્પલાઇન ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોરોના કોવીડ-૧૯ માટે કાર્યરત હોસ્પિટલો અને કોવીડ હેલ્પ કેર સેન્ટર પર દર્દીઓ, હોસ્પિટલ અને તેમાં રખાયેલા સાધન સામગ્રીની તમામ વિગતો અને દર્દીની હાલત વિશે માહિતગાર કરતી હેલ્પલાઇનના કન્ટ્રોલ રૂમો પૈકી અંજાર પ્રાંત કચેરી ખાતે અંજાર કોવીડ-૧૯ કન્ટ્રોલરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંજાર પ્રાંત કચેરી ખાતે પ્રારંભ કરાયેલ હેલ્પ ડેસ્ક કન્ટ્રોલરૂમની રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જાત મુલાકાત લઇ કુલ છ હોસ્પિટલની ઓનલાઇન સમીક્ષા કરી હતી.
સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ-અંજાર અને ગાંધીધામ ખાતેની પાંચ પૈકી હરી ઓમ ઓલ્ડ અને હરી ઓમ ન્યુ તેમજ સ્ટર્લિગ, રામબાગ હોસ્પિટલ અને સેન્ટ જોસેફ હોસ્પિટલનું મોનીટરીંગ અહીંથી થાય છે તેની ચકાસણી કરી હતી. આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની તમામ વિગતો અને હોસ્પિટલની વિગતો જરૂરતમંદો મેળવી શકે છે.
દર્દીને અપાતી સારવાર, ઈન્વેસ્ટીગેશન, સિટીસ્કેન, દર્દીની કન્ડીશન, પ્રાથમિક સુવિધાઓ તેમજ દર્દીની દૈનિક ક્રિયાઓ અને કોવીડ-૧૯ હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરની ડિઝીટલ પ્લેટફોર્મ પરથી જ સમગ્ર માહિતી મેળવી તેમણે આરોગ્ય કર્મીઓ અને અંજાર પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીને કામગીરી બાબતે પ્રશંસા કરી હતી.
પૂર્વ કચ્છની કોરોના હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓ તેમજ ડોકટરો સાથે વિડીયોકોલના માધ્યમથી દર્દીને અપાતી સારવાર બાબતે પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, અંજાર પ્રાંત કચેરી કન્ટ્રોલરૂમ ખાતે જાહેર જનતા પણ જરૂર પડે કોવીડ-૧૯ માટે પૃચ્છા કરી શકે છે. આ માટે કોવીડ-૧૯ કન્ટ્રોલરૂમ અંજારનો મોબાઇલ નં.૯૦૫૪૭૫૩૨૯૯ છે. સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ રામબાગ ગાંધીધામનો નંબર ૬૩૫૯૩૨૧૦૨૬ છે. એસડીએચ અંજારનો ૬૩૫૯૦૭૨૬૩૨ છે. સ્ટર્લિગ હોસ્પિટલ ગાંધીધામનો નંબર છે ૬૩૫૯૦૨૦૫૩૮ અને ઓલ્ડ હરી ઓમનો નંબર છે ૬૩૫૯૧૩૨૯૭૯ એમ અંજાર પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડો.વી.કે.જોશીએ જણાવ્યું હતું.